NDAમાં બધું બરાબર નથી, દિગ્ગજ નેતાના રિસામણાં થતાં ભાજપના નેતાઓ મનાવવા પહોંચ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bihar Election News: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં બેઠકોની વહેંચણી (સીટ શેરિંગ)ની ફોર્મ્યુલા જાહેર થયા બાદ પણ ગઠબંધનમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા મહુઆ વિધાનસભા બેઠક ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના ખાતામાં જવાથી નારાજ છે. કુશવાહાની આ નારાજગી એટલી વધી ગઈ કે, ભાજપના ટોચના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે તાત્કાલિક મેદાનમાં ઉતરવું પડ્યું હતું.
ભાજપના દિગ્ગજો કુશવાહાના દ્વારે
મંગળવારે (14 ઓક્ટોબર) મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ કુશવાહાને મનાવવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, આ બેઠક વહેલી સવારના ચાર વાગ્યા સુધી ચાલી હતી. આ દરમિયાન ગઠબંધનના સહયોગી પક્ષોના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરીને નુકસાન અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ લાંબી બેઠક પણ કોઈ નિર્ણય લેવાયો નહોતો.
NDA માં કંઇ જ ઠીક નથી
ઉપેન્દ્ર કુશવાહાના નિવાસસ્થાનેથી બહાર નીકળતી વખતે ભાજપના નેતાઓએ કોઈ નિવેદન આપ્યું નહોતું. પરંતુ કુશવાહાએ પત્રકારોના સવાલોના જવાબમાં માત્ર ત્રણ શબ્દો કહ્યા, જેણે બિહારના રાજકારણમાં હલચલ મચાવી દીધી: "નથિંગ ઈઝ વેલ ઇન NDA." (NDA માં કંઈ ઠીક નથી).
આજે બપોરે RLMની ઈમરજન્સી બેઠક
રાતભરના આ રાજકીય ઘટનાક્રમ બાદ ઉપેન્દ્ર કુશવાહાએ બુધવારે (15 ઓક્ટોબર) બપોરે 12:30 કલાકે પોતાની પાર્ટી RLMની તાત્કાલિક બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં RLMના ભવિષ્યની વ્યૂહનીતિ પર અંતિમ નિર્ણય લેવાશે. સૂત્રો અનુસાર, બેઠક બાદ કુશવાહા પ્રેસ બ્રીફિંગ યોજીને કોઈ મોટું એલાન કરી શકે છે, જે બિહારના ચૂંટણી સમીકરણોને અસર કરી શકે છે.
આ પણ વાંચોઃ યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત
અસંતોષનું કારણ શું?
રવિવારે (12 ઓક્ટોબર) જાહેર કરાયેલી NDAની ફોર્મ્યુલા હેઠળ, ભાજપ અને જેડીયુને 101-101 બેઠકો મળી હતી, જ્યારે ચિરાગ પાસવાનની LJP (રામવિલાસ)ને 29 બેઠકો મળી હતી. ગઠબંધનના નાના સહયોગી પક્ષો જીતન રામ માંઝીની HAM અને ઉપેન્દ્ર કુશવાહાની RLMને માત્ર 6-6 બેઠકો મળી હતી. માંઝી અને કુશવાહા બંનેએ જાહેર કરેલી બેઠકોની સંખ્યા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો, જે હવે વિસ્ફોટક રૂપ લઈ રહ્યો છે.








