માયાવતીની રેલી પહેલા અખિલેશનો પ્લાન, આઝમ ખાનને મળવા રામપુર જશે
Akhilesh Yadav will meet Azam Khan : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ 8 ઓક્ટોબરના રોજ રામપુરમાં પાર્ટીના નેતા આઝમ ખાન સાથે મુલાકાત કરશે. અખિલેશે આ માટે પહેલાથી જ તારીખ નક્કી કરી દીધી છે, અને એવું જાણવા મળ્યું છે કે, તેમણે સવારે 10 વાગ્યે અમૌસી એરપોર્ટથી ખાનગી જેટ દ્વારા બરેલી એરપોર્ટ જશે. એરપોર્ટથી તેમણે સીધા રોડ માર્ગે આઝમ ખાનના નિવાસસ્થાને જશે. અખિલેશ આઝમ ખાનના નિવાસસ્થાને લગભગ એક કલાક વિતાવે તેવી અપેક્ષા છે, ત્યારબાદ તેઓ બરેલી થઈને લખનઉ પાછા ફરશે.
સપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, લખનઉમાં માયાવતીની રેલીના એક દિવસ પહેલા જ અખિલેશ પ્રવાસે જશે. રાજકીય વિશ્લેષકો આને સપાની રણનીતિના ભાગ માની રહ્યા છે. પાર્ટીનું માનવું છે કે, આઝમ ખાનને મળવાનો સંદેશ તેના સમર્થકોને મજબૂત કરી શકે છે અને આગામી રાજકીય પરિસ્થિતિમાં તેમની સ્થિતિ સશક્ત કરી શકે છે.
આઝમ ખાને શું કહ્યું?
આઝમ ખાન તાજેતરમાં સીતાપુર જેલમાંથી મુક્ત થયા હતા. લગભગ બે વર્ષ જેલમાં વિતાવ્યા બાદ તેમણે એક મીડિયા ઇન્ટરવ્યુમાં ન્યાય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, 'પાર્ટી સાથેના સંબંધો અકબંધ છે અને બહુજન સમાજ પાર્ટી (BSP)માં જોડાઈશ નહીં. મને મારી જાત પર સંપૂર્ણ વિશ્વાસ છે. હું હાઈકોર્ટ અને જો જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય માંગીશ.'
જેલમાંથી મુક્ત થયા બાદ આઝમ ખાને પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'સપા અધ્યક્ષ અખિલેશ યાદવે મને શુભકામના પાઠવી હતી. અખિલેશ એક મોટી પાર્ટીના નેતા છે. જો એમને મારા જેવા નાના માણસ માટે આવુ કહે તો એમની મહાનતા દર્શાવે છે.'
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ સંભાળશે
આઝમ ખાન સામે અનેક કેસ દાખલ
સમાજવાદી પાર્ટીના સ્થાપક સભ્ય અને રામપુરથી 10 વખત ધારાસભ્ય રહેલા આઝમ ખાન પર જમીન હડપ કરવા અને ભ્રષ્ટાચાર સહિત આરોપને લઈને ફોજદારી કેસ છે. અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં ક્વોલિટી બાર જમીન હડપ કરવાના કેસમાં તેમને જામીન આપ્યા. આ કેસમાં રામપુર જિલ્લામાં ગેરકાયદેસર અતિક્રમણનો આરોપ હતો, અને એફઆઈઆર દાખલ થયાના લગભગ પાંચ વર્ષ પછી આઝમ ખાનનું નામ ફરીથી તપાસમાં સામેલ કરવામાં આવ્યું હતું.