VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી... પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા
SAD Councillor Harjinder Singh Shot Dead : પંજાબમાં શિરોમણી અકાલી દળના નેતા હરજિંદર સિંહ પર આડેધડ ગોળીબાર કરી હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ પહેલા નેતાને ધમકાવ્યા હતા, બાદમાં તેમને પાંચથી છ રાઉન્ડ ગોળી મારી હતી. પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમમાં મોકલી દીધો છે અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પંજાબ પોલીસના એડીસીપી હરપાલ સિંહ રંધાવાએ ઘટનાને નિવેદન જાહેર કર્યું છે.
અકાલી દળના નેતાની હત્યા કરી બદમાશો ફરાર
અકાલી દળના નેતા હરજિંદર સિંહ અમૃતસરના જંડિયાલા શહેર પરિષદના કાઉન્સિલર હતા. તેઓ અમૃતસર જિલ્લાના છેહરટા વિસ્તારમાં હતા, ત્યારે કેટલાક અજાણ્યા બદમાો આવ્યા હતા અને તેમના પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. બદમાશો ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે. ગોળીબારનો અવાજ સંભળાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કાઉન્સિલરને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. પોલીસે અજાણ્યા આરોપીઓને શોધવા શહેરભરમાં દરોડા શરૂ કરી દીધા છે.
હરજિંદરે જેની ફરિયાદ કરી તે લોકોએ કરી હત્યા : પરિવારનો દાવો
પંજાબ પોલીસે હત્યા અંગે કહ્યું કે, ‘અજાણ્યા લોકો બાઈક પર આવ્યા હતા અને કાઉન્સિલ હરજિંદરને ગોળી મારી દીધી હતી.’ તેમના પરિવારજનોએ કહ્યું કે, ‘હરજિંદરે ડ્રગ્સ વેચનારાઓ 5-6 યુવકો કરણ, કિશન, સૂરજ વિરુદ્ધ અગાઉ ફરિયાદ કરી હતી. તે લોકોએ જ હરજિંદરની હત્યા કરી છે. બદમાશોએ પહેલા ધમકાવ્યા હતા, પછી પાંચ-છ રાઉન્ડ ગોળીબાર કર્યો.’ અગાઉ પણ હરજિંદર સિંહના ઘર પર ગોળીબાર થયો હતો. પરિવારજનોને જે લોકો પર આશંકા છે, તે લોકોને પકડવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
આ પણ વાંચો : વાણી પર સંયમ રાખો, ખોટી નિવેદનબાજીથી બચો: NDAની બેઠકમાં PM મોદીની નેતાઓને ટકોર