પિતાએ જીવનભર રિક્ષા ચલાવી, સપના પૂરા કરવા લંડન જઈ રહેલી પુત્રીનું મોત: અમદાવાદ પ્લેન ક્રેશનો કરુણ કિસ્સો
Ahmedabad Air India Plane Crash : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે (12 જૂન) એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા 242 લોકો સહિત 265 લોકોના મોત થયા છે. આ વિમાન દુર્ઘટનામાં એક મુસાફર સિવાય બીજું કોઈ બચી શક્યું નથી અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ વિમાનમાં ભારતની એક દિકરી જે પોતાના સ્વપ્નાઓને ઉડાન આપવા લંડન જઈ રહી હતી, તેનુ પણ આ દુર્ઘટનામાં મોત થયું છે. રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી પાયલ ખટીક ગુરુવારે બપોરે અમદાવાદથી લંડન માટે એર ઈન્ડિયાના આ વિમાનમાં મુસાફરી કરી રહી હતી.
પહેલીવાર વિમાનમાં બેઠી હતી પાયલ
રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી પાયલ ખટીક પહેલીવાર વિમાનમાં બેઠી હતી અને તે લંડન માટે રવાના થઈ હતી. પરંતુ કિસ્મતને કાંઈક બીજુ જ મંજૂર હતું. તમને જણાવી દઈએ કે ગુજરાતના હિંમતનગરમાં તેના માતા-પિતા સાથે રહેતી પાયલ ખટીક ઉચ્ચ અભ્યાસ માટે લંડન જઈ રહી હતી. પાયલ નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. પાયલ તેના પરિવાર અને ભારતનું નામ રોશન કરવાના સ્વપ્ન જોતી હતી. પરંતુ આ ગોજારી 12 જૂન તેના સ્વપ્ન વિમાન ક્રેશ સાથે બળીને ખાખ થઈ ગયાં.
રિક્ષા ચલાવીને પિતાએ ભણાવી
માહિતી પ્રમાણે પાયલના પિતા સુરેશભાઈ ખટીક રિક્ષા ચલાવીને પરિવારનું ભરણ-પોષણ કરતાં હતા. તેમણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની દિકરીને ભણાવી અને સારી નોકરી અપાવી હતી, તેમણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે, જીવનમાં એક દિવસ આવો પણ જોવો પડશે.