Get The App

સંજય ગાંધી, સિંધિયાથી લઈને રૂપાણી સુધી, વિમાન દુર્ઘટનામાં ભારતે અનેક નેતા ગુમાવ્યા, જુઓ લિસ્ટ

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
સંજય ગાંધી, સિંધિયાથી લઈને રૂપાણી સુધી, વિમાન દુર્ઘટનામાં ભારતે અનેક નેતા ગુમાવ્યા, જુઓ લિસ્ટ 1 - image


Ahmedabad Air India Plane Crash : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે (12 જૂન) એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા 242 લોકો સહિત 265 લોકોના મોત થયા છે. આ વિમાન દુર્ઘટનામાં એક મુસાફર સિવાય બીજું કોઈ બચી શક્યું નથી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું હતું. રૂપાણી તેમની પત્ની અને પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. તેઓ ગુરુવારે ક્રેશ થયેલા એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171માં મુસાફરી કરી રહ્યા હતા. ભૂતકાળમાં ભારતમાં આવી કેટલીક વિમાન દુર્ઘટના બની છે, જેમાં જાણીતા નેતાઓએ જીવ ગુમાવ્યા છે. તેમાં  કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવરાજ સિંધિયા, વાયએસઆર, સંજય ગાંધી સહિત અન્ય નામોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ટ્રમ્પની ધમકી બાદ ઈઝરાયલ વધુ આક્રમક બન્યું, ઈરાનના પરમાણુ ઠેકાણા પર ફરી હુમલો

સંજય ગાંધી

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું પણ વર્ષ 1980માં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. 23 જૂન, 1980ના રોજ વહેલી સવારે સંજય ગાંધીએ હવાઈ સ્ટંટ કરતી વખતે પોતાના વિમાન પરથી નિયંત્રણ ગુમાવી દીધુ હતું અને બાદમાં વિમાન નવી દિલ્હીના ડિપ્લોમેટિક એન્ક્લેવમાં ક્રેશ થયું. આ સાથે કેપ્ટન સુભાષ સક્સેનાનું પણ મૃત્યુ થયું હતું.

માધવરાવ સિંધિયા

કોંગ્રેસના અન્ય એક દિગ્ગજ નેતા અને પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી માધવરાવ સિંધિયાનું 30 સપ્ટેમ્બર, 2001ના રોજ કાનપુરમાં એક રેલી દરમિયાન વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. આ દસ સીટવાળું ખાનગી વિમાન હતું, આ યુપીના મૈનપુરીમાં ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના બની હતી.

જીએમસી બાલયોગી

લોકસભાના અધ્યક્ષ અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગીનું 3 માર્ચ, 2002ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમથી આવી રહેલું એક ખાનગી હેલિકોપ્ટર આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના કૈકાલુર નજીક તળાવમાં ક્રેશ થયું. આ અકસ્માતમાં બાલયોગીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 

સાયપ્રિયન સંગમા

22  સપ્ટેમ્બર, 2004ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં સંગમાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મેઘાલયના ગ્રામીણ વિકાસ મંત્રી સાયપ્રિયન સંગમા નવ અન્ય લોકો સાથે પવન હંસ હેલિકોપ્ટરમાં ગુવાહાટીથી શિલોંગ જઈ રહ્યા હતા. તેમનું હેલિકોપ્ટર રાજ્યની રાજધાનીથી માત્ર 20 કિમી દૂર બારપાની તળાવ પાસે ક્રેશ થયું હતું.

ઓમ પ્રકાશ જિંદાલ

હરિયાણાના દિગ્ગજ નેતા અને મંત્રી ઓમ પ્રકાશ જિંદાલનું 2005માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. તેમની સાથે મંત્રી સુરેન્દ્ર સિંહ પણ હતા અને તેઓ દિલ્હીથી ચંદીગઢ જઈ રહ્યા હતા. આ દરમિયાન, યુપીના સહારનપુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં બંનેના મોત થયા.

આ પણ વાંચો: 'હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું', મોતને થાપ આપનારા યુવકે વર્ણવી ઘટના

દોરજી ખાંડુ

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુ અને અન્ય ચાર લોકોનું 30 એપ્રિલ, 2011ના રોજ હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે અવસાન થયું હતું. તેઓ હેલિકોપ્ટર દ્વારા તવાંગથી ઇટાનગર જઈ રહ્યા હતા ત્યારે પશ્ચિમ કામેંગ જિલ્લામાં ક્રેશ થયું હતું.

વાયએસઆર

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીનું 2009માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. 2 સપ્ટેમ્બર, 2009ના રોજ બનેલી આ દુર્ઘટનામાં વાયએસઆર તેમના બેલ 430 હેલિકોપ્ટરમાં ઉડાન ભરી રહ્યા હતા. આ સમય દરમિયાન હેલિકોપ્ટર નલ્લામાલાના જંગલોમાં ક્રેશ થયું હતું અને તેમાં તેમનું કરુણ મોત થયું હતું.


Tags :