ઉડાન ભરતા જ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ, દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાઈ
Air India Indore bound Flight returns to Delhi: દેશભરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં ટેકનિકલ સમસ્યાઓ હવે સામાન્ય બની ગઈ છે. લગભગ દરરોજ કોઈને કોઈ ફ્લાઈટમાં આવી સમસ્યાઓ સામે આવતી રહે છે. આવું જ કંઈક આજે દિલ્હીથી ઈન્દોર જઈ રહેલી ફ્લાઈટમાં થયું, જેને ઉડાન ભર્યા બાદ તરત જ દિલ્હી પાછી લાવવી પડી. અહીં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું.
દિલ્હીથી ઈન્દોર જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હીથી ઈન્દોર જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 2913એ ઉડાન ભર્યા બાદ તરત જ કોકપિટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગવાનો સંકેત મળ્યો હોવાથી દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ત્યારબાદ એન્જિન બંધ કરી દેવામાં આવ્યું. બધા મુસાફરો સુરક્ષિત છે અને તેમને વૈકલ્પિક ફ્લાઈટથી ઈન્દોર મોકલવામાં આવી રહ્યા છે.
આ ઘટના બાદ પાઈલટ વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી પાછું લાવ્યા. તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડેડ (સેવામાંથી દૂર) કરી દેવાયું છે અને મુસાફરોને વૈકલ્પિક વિમાનથી ઈન્દોર મોકલવામાં આવી રહ્યા છે. તમામ મુસાફરો સુરક્ષિત છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં સતત ટેકનિકલ ખામીઓ, મુસાફરોને હાલાકી
આ પહેલાં પણ એર ઈન્ડિયાને લઈને આવી ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ પહેલાં 18 ઓગસ્ટે કોચી એરપોર્ટ પર દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને અચાનક ટેકઓફથી રોકવી પડી હતી. આ ઉપરાંત, 16 ઓગસ્ટે પણ એર ઈન્ડિયાએ મિલાન (ઈટાલી)-દિલ્હી ફ્લાઈટને ટેકનિકલ ખામીના કારણે છેલ્લી ઘડીએ રદ કરી દીધી હતી. ફ્લાઈટ્સમાં આવી ખામીને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.