આ વિમાન તો ઉપયોગને લાયક જ નથી..' એર ઈન્ડિયાનું પ્લેન ઉડાવવાનો પાઇલટનો ઈનકાર
Air India AI504 Flight Cancel Due to Technical Issue: કોચી એરપોર્ટ પર રવિવારે રાત્રે દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI504 અચાનક ટેકઓફ થતાં પહેલાં જ કેન્સલ કરવામાં આવી હતી. ટેક્નિકલ ખામીઓની જાણ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના લીધે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઈટમાં અમુક સાંસદો પણ સવાર હતા. જેમાં રાજ્યસભાના સાંસદ જેબી મથર પણ સામેલ હતાં. તેમણે જણાવ્યું કે, કેપ્ટને વિમાનને ટ્રાવેલ માટે ઉપયોગ કરી શકાય તેમ ન હોવાનું કહી ઉડાન ભરવાનો ઈનકાર કર્યો હતો.
સાંસદ જેબી મથરે જણાવ્યું કે, ટેક ઓફ પહેલાં જ પાયલટે જાહેરાત કરી હતી કે, આ એરક્રાફ્ટ હવે મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં. મુસાફરોને બીજા એરક્રાફ્ટમાં શિફ્ટ કરવામાં આવશે. અને તે લગભગ રાત્રે 1 વાગ્યે ટેકઓફ કરશે. આ ફ્લાઈટમાં કોંગ્રેસ સાંસદ હિબી ઈડન પણ ઉપસ્થિત હતાં. તેમણે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે, ટેકઓફ દરમિયાન ફ્લાઈટમાં અજીબોગરીબ ઝટકો વાગ્યો હતો. જેમ કે, વિમાન રનવે પરથી લપસી ગયુ હોય. બાદમાં પાયલટે જાહેરાત કરી કે, એર ઈન્ડિયાએ AI504 ફ્લાઈટ કેન્સલ કરી છે. નવી ફ્લાઈટ રાત્રે 1 વાગ્યે ટેકઓફ કરશે. પરંતુ હજુ સુધી બોર્ડિંગ શરૂ થઈ નથી. હિબી ઈડને જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસોમાં એર ઈન્ડિયાનું આ ત્રીજુ વિમાન છે, જેને એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ કરવુ પડ્યું હતું.e
એર ઈન્ડિયાએ આપ્યું નિવેદન
એર ઈન્ડિયાએ નિવેદન આપ્યું કે, ફ્લાઈટ AI504 કોચીથી દિલ્હી જઈ રહી હતી. તેમાં ટેકઓફ દરમિયાન ટેક્નિકલ ખામીઓ જણાતાં ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. એરલાઈનના પ્રવક્તાએ જણાવ્યું કે, કોકપિટ ક્રૂએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરનું પાલન કરતાં ટેક-ઓફ રન રોક્યું છે. વિમાનને મેઈનટેનન્સ ચેક માટે પરત બે પર લઈ જવામાં આવ્યું છે. તેનું વિમાન એરબસ A321 હતું.
એર ઈન્ડિયાના વિમાનમાં સતત ખામી
અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં 260 લોકોના મોત બાદ એર ઈન્ડિયાની વિવિધ ફ્લાઈટમાં ખામીઓ જોવા મળી છે. ઘણી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ ટેક્નિકલ ખામીના કારણે રદ કરવામાં આવી હોવાના કિસ્સા બન્યા છે. આ ભયાવહ દુર્ઘટના બાદથી એર ઈન્ડિયા અનેક ટીકાઓનો સામનો કરી રહ્યું છે. હાલમાં 16 ઓગસ્ટના રોજ એર ઈન્ડિયાની મિલાન-દિલ્હી ફ્લાઈટ ઉડાનની અંતિમ ક્ષણોમાં જ રદ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી જોવા મળી હતી.