ડ્રીમલાઈનરમાં ખામી જણાવનારા પૂર્વ કર્મીઓને એર ઈન્ડિયાએ કર્યા હતા બરતરફ, હવે CBI તપાસની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Boeing Dreamliner 787: બોઈંગના ડ્રીમલાઈનર 787માં ટેકનિકલ ખામીઓનો રિપોર્ટ કરવા બદલ એર ઈન્ડિયા દ્વારા ગત વર્ષે બે કેબિન ક્રૂને બરતરફ કરાયા હતા. હવે એવિએશન ઈન્ડસ્ટ્રી એમ્પ્લોઈઝ ગિલ્ડ (AIEG)એ આ મામલે CBI તપાસની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદથી મામલો ગરમાયો છે.
આ બાબત એવિએશન સેક્ટરની સુરક્ષા માટે ખતરનાક
AIEGના મહાસચિવ જોર્જ અબ્રાહમે કહ્યું કે, ટેકનિકલ ખામીના રિપોર્ટ બાદ એર ઈન્ડિયાએ બંને કેબિન ક્રૂ પર પોતાનું નિવેદન બદલવા માટે દબાણ કર્યું હતું. બાદમાં બંનેને બરતરફ કરી દેવામાં આવ્યા હતા. આ ખૂબ જ ગંભીર મામલો છે. આ એવિએશન સેક્ટરની સુરક્ષા માટે ખતરનાક છે.
નિષ્પક્ષ તપાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર
તેમણે આ સંદર્ભમાં નિષ્પક્ષ તપાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. અબ્રાહમે જણાવ્યું કે, 14 મે, 2024ના રોજ મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા પછી વિમાનના દરવાજામાં ટેકનિકલ ખામીને કારણે સ્લાઈડ રાફ્ટ મેન્યુઅલ મોડમાં ખુલી ગઈ હતી. જોકે, સ્લાઈડ રાફ્ટ માત્ર ત્યારે જ સક્રિય થાય છે જ્યારે વિમાન ઓટોમેટિક મોડમાં હોય છે.
એક અઠવાડિયા પહેલા અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 270 લોકોમાંથી અત્યાર સુધીમાં 231 મૃતકોના DNA મેચ થઈ ગયા છે. 210 મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા છે. જોકે ગુજરાત પોલીસને વિમાન દુર્ઘટના સ્થળેથી 318 માનવ અંગો મળી આવ્યાની માહિતી છે. આ ઉપરાંત 100 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે.
મોબાઈલ ફોરેન્સિક તપાસ માટે FSL મોકલાયા
તમામ મોબાઈલ ફોરેન્સિક તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરિસરમાં બનેલી ઈમારતમાં વિમાન દુર્ઘટનાની તપાસ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી AI-171 ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી જ વારમાં ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત વિમાન જ્યાં ક્રેશ થયું હતું ત્યાં પણ 29 લોકોના મોત થયા હતા. આમાં તબીબી વિદ્યાર્થીઓ, ત્યાં કામ કરતા કામદારો અને તેમના બાળકો સામેલ છે.








