સર્ટિફિકેટ વિના મુસાફરોને લઈને ઊડી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન! DGCAએ આપ્યા તપાસના આદેશ

Air India Airbus A320 : ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ સ્વીકાર્યું છે કે તેનું એક એરબસ A320 વિમાન એરવર્ધીનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (ARC) વગર નવેમ્બર-2025માં આઠ વખત ઉડાન ભર્યું હતું. આ ગંભીર બેદરકારી સામે આવતા જ ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ તત્કાલ તપાસ શરૂ કરી છે અને એરલાઈનને આ વિમાનને ગ્રાઉન્ડ કરવા (ઉડાન પર પ્રતિબંધ મૂકવા)નો નિર્દેશ આપ્યો છે. એર ઈન્ડિયાએ આ ઘટના બદલ ખેદ વ્યક્ત કરીને જવાબદાર કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને આંતરિક તપાસ શરૂ કરી છે.
સર્ટિફિકેટ વગર વિમાનની આઠ વખત ઉડાન
DGCAએ કહ્યું કે, ‘ARC દર વર્ષે વિમાનના મેન્ટેનન્સ રેકોર્ડ, ફિઝિકલ કન્ડિશન અને એરવર્ધીનેસ સ્ટાન્ડર્ડ્સના વેરિફિકેશન બાદ જારી કરવામાં આવે છે. આ વિમાનનું ARC એન્જિન બદલતી વખતે એક્સપાયર થઈ ગયું હતું, તેમ છતાં તેને સર્વિસમાં મૂકવામાં આવ્યું હતું. આ વિમાન વિસ્ટારાના મર્જર પ્રોસેસનો ભાગ હતું અને મર્જર બાદ પ્રથમ ARC રિન્યુઅલ DGCA દ્વારા થવાનું નક્કી કરાયું હતું. 26 નવેમ્બર-2025ના રોજ આઠ વખત ઉડાન ભર્યા બાદ ઓપરેટરે DGCAને જાણ કરી કે, વિમાન એક્સપાયર થઈ ગયેલા ARC પર ઉડાન ભરી રહ્યું હતું.’

એર ઈન્ડિયાએ આંતરિક તપાસ શરૂ કરી
DGCAના નિર્દેશ પર એર ઈન્ડિયાએ સિસ્ટમની ખામીઓ અને ભવિષ્યમાં આવી ગરબડી ન થાય તે માટે આંતરિક તપાસ શરૂ કરી છે. એરલાઈને કહ્યું કે, જરૂરી પ્રોટોકોલના પાલનમાં કોઈપણ પ્રકારની ગરબડીને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે. કંપની આ મામલે DGCA સાથે સંપૂર્ણ સહયોગ કરી રહી છે.
DGCAની એર ઈન્ડિયા સામે આકરી કાર્યવાહી
એરક્રાફ્ટ રૂલ્સ-1937 મુજબ, એરવર્ધીનેસ સર્ટિફિકેટ વિના કોઈપણ વિમાનને ઉડાન ભરવાની મંજૂરી નથી. આ સર્ટિફિકેટ એ સાબિત કરે છે કે, વિમાન ડિઝાઈન આવશ્યકતાઓને પૂર્ણ કરે છે અને ઉડાન માટે સુરક્ષિત સ્થિતિમાં છે. આ ગંભીર ઉલ્લંઘન બાદ DGCAએ તમામ સંબંધિત કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ડી-રોસ્ટર કરી દીધા છે.

