ઓવૈસી પણ નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર, પરંતુ રાખી એક શરત, શું માનશે NDA?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bihar Politics: ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની સરકારને ટેકો આપવા માટે તૈયારી બતાવી છે. જો કે, તેમણે આ સમર્થન માટે એક સ્પષ્ટ શરત મૂકી છે, જે ઉત્તરપૂર્વીય બિહારનો પછાત વિસ્તાર સીમાંચલ પ્રદેશ સાથે સંબંધિત છે.
'વિકાસ માત્ર પટણા અને રાજગીર પૂરતો મર્યાદિત ન રહે'
અમૌરમાં એક જાહેર સભાને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, 'મારી પાર્ટી નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર છે, પરંતુ સીમાંચલ પ્રદેશને ન્યાય મળવો જ જોઈએ. વિકાસ ફક્ત રાજધાની પટણા અને પર્યટન સ્થળ રાજગીર પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ. ક્યાં સુધી બધું પટણા અને રાજગીર આસપાસ કેન્દ્રિત રહેશે?'
તેમણે જણાવ્યું હતું કે, 'સીમાંચલ નદીના ધોવાણ, મોટા પાયે સ્થળાંતર અને વ્યાપક ભ્રષ્ટાચારથી ઝઝૂમી રહ્યું છે અને સરકારે આ મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ. સીમાંચલ પ્રદેશ મુસ્લિમ વસ્તી ધરાવતો અને રાજ્યના સૌથી પછાત વિસ્તારોમાંનો એક છે, જ્યાં લગભગ 80 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.'
આ પણ વાંચો: પ.બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણની તૈયારી, ટીએમસી નેતા 6 ડિસેમ્બરે આધારશિલા મૂકશે
ઓવૈસીની ધારાસભ્યો પર નજર
નીતિશ સરકારને સમર્થન આપવાના પ્રસ્તાવની સાથે ઓવૈસીએ તેમના પક્ષના ધારાસભ્યોની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કડક યોજના જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે, 'AIMIMના પાંચેય ધારાસભ્યો અઠવાડિયામાં બે દિવસ તેમના મતવિસ્તારના કાર્યાલયોમાં બેસશે. ધારાસભ્યોએ તેમને તેમના લાઇવ વોટ્સએપ સ્થાન સાથે ફોટા મોકલવા પડશે, જેથી તેમની હાજરીની ખાતરી થઈ શકે.
આ ઉપરાંત ઓવૈસીએ પોતે છ મહિનાની અંદર આ કાર્ય શરુ કરવાનો અને દર છ મહિને એકવાર મુલાકાત લેવાનો પ્રયાસ કરવાની વાત કહી. તેમણે કહ્યું કે, 'અમે જનતા સાથે મળીશું અને ભ્રષ્ટાચાર સામે લડીશું.'
બિહારમાં NDAની જંગી જીત છતાં, AIMIM એ આ પ્રદેશમાં તેની પાંચ બેઠકો જાળવી રાખી છે. અગાઉ 2020માં પાર્ટીના ચાર ધારાસભ્યો ચૂંટણી પછી RJDમાં જોડાયા હતા.









