Get The App

પ.બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણની તૈયારી, ટીએમસી નેતા 6 ડિસેમ્બરે આધારશિલા મૂકશે

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
TMC MLA Humayun Kabir on Babri Masjid :

TMC MLA Humayun Kabir on Babri Masjid : પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના ધારાસભ્ય હુમાયૂ કબીરના નિવેદન પર હોબાળો મચી ગયો છે. ટીએમસીના આ ધારાસભ્યએ મુર્શિદાબાદમાં 6 ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદની આધારશિલા રાખવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે આ તારીખ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત બાબરી મસ્જિદના વિધ્વંસની વર્ષગાંઠ છે. ભરતપુરથી ચૂંટાયેલા આ ધારાસભ્યએ ગયા વર્ષે જ આ મસ્જિદ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

મસ્જિદના બાંધકામને પૂર્ણ થવામાં ત્રણ વર્ષનો સમય લાગશે

હુમાયૂ કબીરે શનિવારે મીડિયા એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું, 'અમે 6 ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા ખાતે બાબરી મસ્જિદની નીંવ રાખીશું. તેને પૂર્ણ થવામાં ત્રણ વર્ષનો સમય લાગશે. વિવિધ મુસ્લિમ નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.'

બાબરી મસ્જિદ મુદ્દે BJPના TMC પર આકરા પ્રહાર 

બાબરી મસ્જિદના મુદ્દે ભારતીય જનતા પાર્ટી(BJP)એ તૃણમૂલ કોંગ્રેસ(TMC) પર તીવ્ર હુમલો કર્યો છે. BJPએ સત્તાધારી TMC પર ધર્મ આધારિત રાજનીતિ કરવા અને તુષ્ટિકરણની નીતિ અપનાવવાના આરોપો લગાવ્યા છે.

આ પણ વાંચો: કોણ હતા દુબઈ એર શોમાં જીવ ગુમાવનારા પાયલટ નમંશ સ્યાલ? પત્ની પણ છે એરફોર્સમાં


BJPના નેતા અગ્નિમિત્રા પૉલે કહ્યું કે, 'ભલે કોઈ પણ વ્યક્તિ મંદિર કે મસ્જિદનું નિર્માણ કરી શકે, પરંતુ TMC ધર્મના નામે રાજકારણ કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે 6 ડિસેમ્બરની તારીખની પસંદગી પાછળ TMCનો ઇરાદો સ્પષ્ટપણે દેખાય છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, TMCએ અત્યાર સુધી લઘુમતીઓ માટે શું કામ કર્યું છે?'

BJP નેતા પ્રિયંકા ટિબરેવાલ દ્વારા TMC પર આકરા પ્રહારો

BJPના અન્ય નેતા પ્રિયંકા ટિબરેવાલનું કહેવું છે કે, 'TMCનો ધર્મનિરપેક્ષવાદ ફક્ત અમુક ધર્મ-વિશેષ પૂરતો સીમિત છે. તેમણે સવાલ ઉઠાવ્યો, 'જ્યારે તેઓ બાબરી મસ્જિદને ફરીથી સ્થાપિત કરવાની વાત કરે છે, ત્યારે હું જાણવા માંગુ છું કે તેઓ તે મસ્જિદમાં કોને આમંત્રણ આપશે? શું તેઓ એ રોહિંગ્યા લોકોને બોલાવશે, જેઓ SIR(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ)ના ડરથી હવે સરહદી વિસ્તારો તરફ ભાગી રહ્યા છે?' ટિબરેવાલે સ્પષ્ટપણે કહ્યું કે, આ માત્ર તુષ્ટિકરણની રાજનીતિ સિવાય બીજું કંઈ નથી.

પ.બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણની તૈયારી, ટીએમસી નેતા 6 ડિસેમ્બરે આધારશિલા મૂકશે 2 - image