Get The App

એરપોર્ટ પાસે મકાન હોય તો ખાસ જાણી લેજો! અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સરકારની નિયમો બદલવાની તૈયારી

Updated: Jun 19th, 2025

GS TEAM


Google News
Google News
એરપોર્ટ પાસે મકાન હોય તો ખાસ જાણી લેજો! અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સરકારની નિયમો બદલવાની તૈયારી 1 - image


Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાથી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 279 લોકો મોતને ભેટ્યા છે. આ દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમ ઊભું કરતી ભૌતિક રચનાઓ પર નિયંત્રણ કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો રજૂ કર્યા છે.

12 જૂનના દિવસે અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. વિમાને અમદાવાદ ઍરપોર્ટથી ઉડાન ભરી હતી અને થોડા અંતર પછી, વિમાન બીજે મેડિકલ કૉલેજની હોસ્ટેલ સાથે અથડાયું હતું અને તેમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં, વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ, કેન્દ્ર સરકાર હવે કડક પગલાં લઈ રહી છે.

આ પણ વાંચોઃ વડોદરામાં વોર્ડ નંબર 4ની ઓફિસમાં જન્મનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરતાં ગુનો દાખલ

વિમાન સુરક્ષાને લઈને નવો કાયદો?

નવા ડ્રાફ્ટ નિયમોને 'એરક્રાફ્ટ-2025' નામ આપવામાં આવ્યું છે. આ નિયમો ગેઝેટમાં પ્રકાશિત થતાં જ અમલમાં આવશે. તેનો હેતુ અધિકારીઓને ઍરપોર્ટની આસપાસના નિયુક્ત વિસ્તારોમાં ઊંચાઈ મર્યાદા કરતાં વધુ ઇમારતો અને વૃક્ષો પર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સશક્ત બનાવવાનો છે. આ પહેલને ફ્લાઇટ પાથમાં અવરોધોને કારણે થતાં અકસ્માતોને રોકવા માટેના એક સક્રિય પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

તંત્ર કરશે કાર્યવાહી

ડ્રાફ્ટ નિયમો હેઠળ, જો કોઈ માળખું નિર્ધારિત ઊંચાઈથી ઉપર હોવાનું જણાય, તો સંબંધિત વિસ્તારના પ્રભારી અધિકારી દ્વારા નોટિસ જાહેર કરવામાં આવશે. મિલકત માલિકે 60 દિવસની અંદર સાઇટ પ્લાન અને માળખાના માપન સહિત અન્ય વિગતો સબમિટ કરવાની રહેશે. જો આમ કરવામાં ન આવે, તો અધિકારીઓને માળખાને તોડી પાડવા અથવા તેની ઊંચાઈ ઘટાડવા માટે કાર્યવાહી કરવાનો અધિકાર રહેશે.

60 દિવસનો મળશે સમય

જો ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) અથવા કોઈપણ અધિકૃત અધિકારીને કોઈ માળખું નિયમોનું ઉલ્લંઘન કરતું જણાય, તો તે તેને દૂર કરવા અથવા ઘટાડવાનો આદેશ જારી કરી શકે છે. માલિકને પાલન કરવા માટે 60 દિવસનો સમય મળશે, જે માન્ય કારણોસર બીજા 60 દિવસ સુધી લંબાવી શકાય છે.

આ પણ વાંચોઃ સુરતના કતારગામ ઝોનમાં લોકોના વિરોધના કારણે અનામત પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમ પરત ફરી

આ ઉપરાંત, અધિકારીઓને દિવસ દરમિયાન સ્થળનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવશે, જો તેઓ મિલકત માલિકને અગાઉથી જાણ કરે. જો મિલકત માલિક સહકાર ન આપે, તો અધિકારીઓ ઉપલબ્ધ માહિતીના આધારે વધુ કાર્યવાહી કરી શકે છે અને મામલો DGCAને મોકલી શકે છે.

ડ્રાફ્ટ નિયમો હેઠળ, જો કોઈ માળખું દૂર કરવા અથવા ઘટાડવાનો આદેશ પસાર કરવામાં આવે છે, તો મિલકત માલિક નિર્ધારિત ફોર્મ, જરૂરી દસ્તાવેજો અને 1,000 રૂપિયાની ફી સાથે પ્રથમ અથવા બીજા અપીલ અધિકારી સમક્ષ અપીલ કરી શકે છે.

વળતરની શરત

આમાં વળતરની શરતો પણ નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં માલિકને સત્તાવાર આદેશો અનુસાર માળખું તોડી પાડવા અથવા તેમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે અને જેમણે આદેશનું પાલન કર્યું છે તેમને જ ભારતીય હવાઈ પરિવહન અધિનિયમ-2024ની કલમ 22 હેઠળ વળતર આપવામાં આવશે. સૂચનાની તારીખ પછી નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલં કોઈપણ માળખું વળતર મેળવશે નહીં.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પ્રકાશનના 20 દિવસની અંદર આ ડ્રાફ્ટ નિયમો પર જનતા પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે.

Tags :