અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બૉક્સ અમેરિકા નથી મોકલાયું, સરકારે કહ્યું- દિલ્હીમાં જ થઈ રહી છે તપાસ
Ahmedabad Plane Crash : અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટનાનું કારણ જાણવા માટે અત્યંત ઉપયોગી બ્લેક બૉક્સને અમેરિકા મોકલવાની તૈયારી થઈ રહી છે. પરંતુ હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ને આ જાણકારીને નકારી કાઢીને ખોટી અને ગેરમાર્ગે દોરનારી ગણાવી છે. મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે, આ પ્રકારની સંવેદનશીલ તપાસ પ્રક્રિયા પર અટકળો ન લગાવો અને ચાલી રહેલી તપાસને ગંભીરતાથી કામગીરી કરવા દે.
નાગરિક ઉડ્ડયન મંત્રીએ શું કહ્યું?
આ વર્ષે એપ્રિલમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ નવી દિલ્હીના ઉડાન ભવનમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) કેમ્પસમાં ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર (DFDR) અને કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) વિશ્લેષણ લેબનું ઉદ્ઘાટન કર્યું હતું. આ લેબ લગભગ રૂ.9 કરોડના ખર્ચે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના સહયોગથી બનાવવામાં આવી છે. આ લેબનો હેતુ ક્રેશ થયેલા બ્લેક બૉક્સનું સમારકામ કરવાનો, ડેટા કાઢવાનો અને રડાર, ફ્લાઇટ પર્ફોર્મન્સ અને કોકપીટ રેકોર્ડિંગ જેવા વિવિધ સ્ત્રોતોને જોડીને અકસ્માતના કારણની સચોટ તપાસ કરવાનો છે. તેને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ICAOના સભ્યપદ હેઠળ વિકસાવવામાં આવ્યું હતું.
બ્લેક બૉક્સ અમેરિકા મોકલવાના સમાચાર અંગે શું કહ્યું મંત્રાલયે?
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, 'અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બ્લેક બૉક્સને તપાસ માટે વિદેશ મોકલવામાં આવી રહ્યું છે. બ્લેક બૉક્સની તપાસ કયા અને કઈ રીતે થશે તેનો નિર્ણય વિમાન દુર્ઘટનાની તપાસ કરતી એજન્સી AAIB, ટેકનિકલ, સુરક્ષા અને અન્ય તમામ જરૂરી પાસાઓને ધ્યાનમાં રાખીને કરશે. આવી સંવેદનશીલ તપાસ પ્રક્રિયા પર અનુમાન ન લગાવો અને તપાસને ગંભીરતાથી પૂર્ણ થવા દો.'
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશ થવા પર ટાટા સન્સના ચેરમેનનું મોટું નિવેદન, લોકોને કરી ખાસ અપીલ
તપાસમાં કોણ-કોણ સામેલ છે?
તમને જણાવી દઈએ કે, AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ 12 જૂન 2025ના રોજ શરૂ થઈ હતી. જેમાં AAIB ટીમ તેમજ યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને વિમાન ઉત્પાદક કંપનીઓ (OEM)ના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ICAO દ્વારા નિર્ધારિત આંતરરાષ્ટ્રીય તપાસ પ્રોટોકોલ હેઠળ કરવામાં આવી રહી છે. AI-171 વિમાન, જે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું. તેમાં બ્લેક બૉક્સ સિસ્ટમના બે સેટ હતા, જેમાં દરેકમાં DFDR અને CVR હતા. પહેલો સેટ 13 જૂને મળી આવ્યો હતો અને બીજો 16 જૂને કાટમાળમાંથી મળ્યો હતો.
આ બ્લેક બૉક્સ પરથી એ જાણી શકાશે કે, પ્લેન ટેકઑફ થયાની અમુક સમયમાં કેમ દુર્ઘટના સર્જાઈ. DFDRથી વિમાનની સ્પીડ, ઊંચાઈ અને એન્જિન થ્રસ્ટ જેવા ડેટા મળશે. જ્યારે CVR કોકપિટમાં પાયલટની વાતચીત અને ઍલર્ટનું રેકોર્ડિંગ સાંભળી શકાશે.
ICAOના નિયમો મુજબ, વિમાન દુર્ઘટનાને લઈને 30 દિવસની અંદરમાં પ્રારંભિક રિપોર્ટ અને એક વર્ષમાં અંતિમ વિગતવાર અહેવાલ જાહેર કરવામાં આવશે. તપાસમાં પાયલટની સંભવિત ભૂલ, ટેક્નિકલ ખામીઓ, હવામાન પરિસ્થિતિઓ અને ફ્લાઇટ પહેલાની તપાસમાં ખામીઓ જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવશે.