અમદાવાદ પ્લેન ક્રેશમાં અમારો કોઈ હાથ નથી, તૂર્કીયેએ ફગાવ્યાં તમામ આરોપ
Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ગુરુવારે (12મી જૂન) ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં મૃતકાંક 278ને સ્પર્શી ગયો છે. આ વિમાન ક્રેશ થયા પછી એવી ચર્ચા થઈ હતી કે એર ઈન્ડિયાના વિમાનનું મેન્ટેનન્સ તુર્કીયેની કંપની પાસે હોવાથી, તેણે કોઈ ષડયંત્ર ઘડ્યું હોય. જો કે, આ અંગે તુર્કીયેની પ્રતિક્રિયા સામે આવી છે. તુર્કીયેના કોમ્યુનિકેશન ડિરેક્ટોરેટે 'X' પર પોસ્ટ કરીને લખ્યું 'તુર્કિશ ટેકનિક દ્વારા બોઈગ 787-8 પેસેન્જર વિમાનનું મેન્ટેનન્સ કરવામાં આવ્યો હોવાના તમામ દાવા ખોટા છે.'
બોઇંગ 787-8ના મેન્ટેનન્સ માટે તુર્કિશ ટેકનિક જવાબદાર નથી
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તુર્કીયેની કંપનીનું નામ ચર્ચામાં આવતા તુર્કીયેના કોમ્યુનિકેશન ડિરેક્ટોરેટે 'X' પર પોસ્ટ કરીને લખ્યું 'અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787-8 વિમાનના મેન્ટેનન્સ તુર્કિશ ટેકનિક પાસે નહોતું. આવા તમામ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે. 2024-25માં એર ઈન્ડિયા અને તુર્કિશ ટેકનિક વચ્ચે થયેલા કરારો હેઠળ, ખાસ કરીને B777 પ્રકારના વાઇડ-બોડી વિમાનોનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. ક્રેશ થયેલ બોઈગ 787-8 ડ્રીમલાઇનર આ કરારમાં આવતું નથી.'
વધુમાં તેણે લખ્યું કે, 'જોકે અમને ખબર છે કે ક્રેશ થયેલા વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપની કરી રહી હતી, પરંતુ આ બાબતો પર ટિપ્પણી કરવી અમારા અધિકારક્ષેત્રની બહાર છે. અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ હતો. આ દુઃખની ઘડીમાં અમારી સંવેદના ભારતના લોકો સાથે છે.'
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ વિમાનની તપાસ માટે બોઈંગની ટીમ અને અમેરિકન એજન્સીઓ અમદાવાદમાં
તુર્કિશ ટેકનિક શું કરે છે?
અહેવાલો અનુસાર, તુર્કીયેની કંપની તુર્કિશ ટેકનિક એક ગ્લોબલ એવિએશન સર્વિસ પ્રદાતા છે. કેટલીક ભારતીય એરલાઇન્સ પણ તેની સેવાઓ લે છે. આ કંપની એર ઈન્ડિયાના બોઈંગ 777નું મેન્ટેનન્સ કરતા હતા. જો કે, એર ઈન્ડિયા તુર્કીયેની કંપની તેમજ ભારતની એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ અને કેટલાક અન્ય દેશો દ્વારા પણ વિમાનોનું મેન્ટેનન્સ કરાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં તુર્કીયેએ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું, જેના કારણે ભારતે તુર્કીયેનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે એર ઈન્ડિયાએ પણ તુર્કિશ ટેકનિક સાથેના કરાર ખતમ કર્યા હતા.