Get The App

સરકાર જવાબદારી નક્કી કરે અને વળતર આપે: અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે ખડગેની માગણી

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
સરકાર જવાબદારી નક્કી કરે અને વળતર આપે: અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે ખડગેની માગણી 1 - image


Ahmedabad Air India Plane Crash : અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ 12 જૂને ક્રેશ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક, કર્ણાટના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે આજે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે. કોંગ્રેસ નેતાઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો સાથે પણ મુલાકાત કરી છે અને આ દુઃખ સમયમાં મૃતકોના પરિવારજનો તેમજ ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ખડગેએ કેન્દ્ર સરકારને દુર્ઘટના મામલે જવાબદારી નક્કી કરવા તેમજ પીડિતના પરિવારને વળતર આપવાની માંગ કરી છે.

કેન્દ્ર સરકારે પીડિતોના પરિવારને વળતર આપવું જોઈએ : ખડગે

ખડગેએ દુર્ઘટના સ્થળ અને હોસ્પિટલમાં પીડિતો સાથે મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જ્યારે પત્રકારોએ ખડગેને યાદ અપાવ્યું કે, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા વળતરની કોઈ જાહેરાત કરાઈ નથી. તો તેમણે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે વિમાન દુર્ઘટના મામલે જવાબદારી નક્કી કરવી જોઈએ અને પીડિતોના પરિવારને વળતર આપવું જોઈએ. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને યોગ્ય વળતર આપવું જોઈએ.’

‘દુર્ઘટના ક્યારે ભૂલી શકીશું નહીં’

તેમણે કહ્યું કે, ‘અમદાવાદ શહેરમાં બનેલી આ દુર્ઘટનાને ક્યારેય ભૂલી શકીશું નહીં’ ખડગેની સાથે શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિક પણ ઉપસ્થિત હતા. તેઓએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓ, ખાસ કરીને વિમાનમાં સવાર ભારતીય નાગરિકો, મેડિકલના વિદ્યાર્થીઓ અને જમીન પર હાજર નાગરિકો પ્રત્યે ઊંડી શોકની લાગણી વ્યક્ત કરી છે.

‘આવી દુર્ઘટનાઓને હળવાશથી ન લેવી જોઈએ’

કોંગ્રેસ અધ્યક્ષે દુર્ઘટનામાં એક માત્ર બચી ગયેલા વિશ્વાસકુમાર રમેશ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘એક વ્યક્તિનો જીવ બચ્યો છે, જે ચમત્કારથી ઓછો નથી. અમે પ્રાર્થના કરીએ છીએ કે, તેઓ ઝડપી સ્વસ્થ થાય અને સામાન્ય જીવનમાં પરત ફરે. હું મારા પક્ષના કાર્યકરો અને નેતાઓને વિનંતી કરીશ કે તેઓ લોકોને મદદ કરતા રહે. જો તેમને કોઈ વસ્તુની જરૂર હોય - દવા કે બીજું કંઈ - જે અહીં ઉપલબ્ધ નથી, તો તેમણે તેની પણ વ્યવસ્થા કરતા રહેવું જોઈએ.’ તેમણે કહ્યું કે, ‘આવી દુર્ઘટનાઓને હળવાશથી ન લેવી જોઈએ અને એવું ન કહેવું જોઈએ કે આવી ઘટનાઓ બનતી રહે છે. કોઈપણ ઈજાગ્રસ્તને મળીને ફોટો પડાવવાનો અને શ્રેય લેવાનો પ્રયાસ ન કરવો જોઈએ.’

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ: એર ઇન્ડિયા મૃતકોના પરિવારને રૂ. 25 લાખની સહાય આપશે, ટાટા સન્સના રૂ. 1 કરોડ ઉપરાંત વધારાની મદદ

પ્લેન ક્રેશમાં 272 લોકોએ જીવ ગુમાવ્યા

અમદાવાદમાં (12 જુને) થયેલા પ્લેન ક્રેશમાં 272 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ફ્લાઈટમાં સવાર 241 લોકો અને અન્ય 31 લોકો ક્રેશનો ભોગ બન્યા હતાં. એર ઈન્ડિયાનું આ વિમાન 11 વર્ષ જૂનુ હતું. જે ટૅકઑફની બે મિનિટમાં જ ધડાકાભેર બીજે મેડિકલની હોસ્ટેલમાં અથડાયું હતું. તેની આસપાસની ઈમારતોમાં પણ નુકસાન થયુ હતું. વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળી આવ્યું છે. જેના પરથી દુર્ઘટનાનું કારણ જાણવામાં મદદ મળશે. કેન્દ્ર સરકારે પ્લેન ક્રેશની તપાસ કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતિ રચી છે.

Tags :