VIDEO: બ્રિટનનું 900 કરોડનું ફાઈટર જેટ ખેંચીને લઈ જવું પડ્યું, ભારત આવી રોયલ નેવીની ખાસ ટીમ
British F-35 Fighter Jet: બ્રિટેનની રૉયલ નેવીનું F-35B ફાઈટર જેટ છેલ્લા 21 દિવસોથી તિરુવનંતપુરમ એરપોર્ટ પર બંધ હાલત છે. તેવામાં ફાઈટર જેટમાં સર્જાયેલી ખામીનું મૂલ્યાંકન કરવાને લઈને બ્રિટિશ એરક્રાફ્ટ કેરિયરના ટેકનિકલ નિષ્ણાતોની ટીમ તિરુવનંતપુરમ પહોંચી ગઈ છે. આ ફાઈટર જેટને હવે રવનેથી હટાવીને હેંગરમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે, ત્યારે F-35B ફાઈટર જેટને હેંગરમાં શિફ્ટિંગ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
બ્રિટિશ એરક્રાફ્ટ કેરિયરની ટીમ ભારત પહોંચી
હવે F-35B ફાઈટર જેટનું ભારતમાં સમારકામ કરાશે કે, બ્રિટન પાછું મોકલવામાં આવશે તેને લઈને એરબસ A400M એટલાસ વિમાનમાં ભારત આવેલી નવી એન્જિનિયરિંગ ટીમ નક્કી કરશે. જો સમારકામ શક્ય ન બને, તો તેને તોડી પાડવામાં આવશે અને C-17 ગ્લોબમાસ્ટર લશ્કરી વિમાનમાં પાછું લઈ જવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, F-35B લાઈટનિંગ એ વિશ્વનું સૌથી આધુનિક પાંચમી પેઢીનું ફાઈટર જેટ છે, જેની કિંમત લગભગ 110 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ.915 કરોડ છે. તે શોર્ટ ટેક-ઓફ અને વર્ટિકલ લેન્ડિંગ (STOVL) ક્ષમતાથી સજ્જ છે અને મર્યાદિત વિસ્તારવાળા નાના ડેક અથવા બેઝ પરથી ઉડાન ભરવામાં સક્ષમ છે. ઇમરજન્સી લેન્ડિંગના થોડા દિવસો પછી, ભારતીય વાયુસેનાએ કહ્યું હતું કે, તે બ્રિટિશ ટીમને વિમાનનું સમારકામ કરવા અને તેના પરત ફરવાની ખાતરી કરવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડશે.
14 જૂને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતુ
બ્રિટિશ રૉયલ નેવીનું આ ફાઈટર જેટ HMS Prince of Wales કેરિયર સ્ટ્રાઈક ગ્રુપનો ભાગ છે. જેમાં હત 14 જૂનના રોજ ટેક્નિકલ ખામીના કારણે તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ પછી ફાઈટર જેટને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યું હતું. શરૂઆતામાં બ્રિટિશ રૉયલ નેવીએ કેરલમાં વરસાદી માહોલ વચ્ચે જેટને હેંગરમાં લઈ જવા માટે એર ઈન્ડિયાના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. બાદમાં બ્રિટિશ નૌસેનાએ જેટને હેંગરમાં લઈ જવા માટે સહમતિ દાખવી છે.
આ પણ વાંચો: બિહાર ચૂંટણી માટે ECએ શરૂ કરી તૈયારી, મતદાર યાદી જાહેર કરવા બનાવ્યો છ તબક્કાનો પ્લાન
પહેલા પણ થયું છે આવું ઓપરેશન
વર્ષ 2019માં પહેલી વખત F-35Bની પાંખો કાઢી નાખીને C-17 વિમાનમાં ફ્લોરિડાથી યૂટા મોકલવામાં આવ્યું હતું. આવી કોઈપણ કામગીરીમાં દરેક ભાગને સુરક્ષા કોડ આપવામાં આવે છે, જેથી ટેકનિકલ ચોરી અટકાવી શકાય. સ્ટેલ્થ ટેકનિકલ લીક થવાથી સૈન્ય અને રાજદ્વારી સ્તરે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે.