નોટબંધીના 9 વર્ષ પૂરાં, 1000 રૂપિયાની નોટ લોકો ભૂલ્યાં! 2000ની નોટ આવી અને જતી પણ રહી

IMAGE: PTI |
Demonetisation Anniversary: આજે 8 નવેમ્બર 2025ના રોજ, દેશના ઈતિહાસના એક ઐતિહાસિક અને આઘાતજનક આર્થિક નિર્ણય, નોટબંધીને નવ વર્ષ પૂર્ણ થયા છે. 8 નવેમ્બર, 2016ના દિવસે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક રાષ્ટ્રજોગ સંબોધન કરીને 500 અને 1000 રૂપિયાની નોટોને તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરી હતી, જેનાથી સમગ્ર દેશ ચોંકી ગયો હતો.
રોકડની અછત અને નવી નોટો
નોટબંધીના આ નિર્ણયે દેશની અર્થવ્યવસ્થા, બજાર અને સામાન્ય માણસથી લઈને ખાસ વ્યક્તિ સુધીના જીવનને હચમચાવી દીધું હતું. સિસ્ટમમાં રોકડની તીવ્ર અછત થતા, લોકોને ઝડપથી રાહત આપવા માટે RBI દ્વારા પ્રથમ વખત 2000ની નોટ જાહેર કરવામાં આવી હતી. જોકે, આ ત્યાર બાદ પણ મહિનાઓ સુધી લોકો રોકડ મેળવવા માટે બેન્ક અને ATMની બહાર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર હતા.
10 નવેમ્બર 2016ના રોજ 500 રૂપિયાની નવી નોટ અને વર્ષ 2017માં 200 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવી હતી. મે, 2023માં RBI એ 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી, પરંતુ તે હજુ પણ તે હજુ સુધી લીગલ ટેન્ડર તરીકે (Legal Tender) માન્ય છે.
શું લક્ષ્યો હાંસલ થયા?
સરકારનો મુખ્ય દાવો હતો કે, નોટબંધીનો હેતુ કાળા નાણાં, આતંકવાદના ફંડિંગ અને નકલી ચલણ પર લગામ લગાવવાનો છે. જોકે, આંકડાઓ દર્શાવે છે કે બંધ કરાયેલા આશરે રૂ. 15.44 લાખ કરોડમાંથી રૂ. 15.31 લાખ કરોડ બેન્કિંગ સિસ્ટમમાં પાછા ફર્યા હતા, એટલે કે 99% થી વધુ નાણાં 'સફેદ' બની ગયા. નકલી નોટોનું પ્રમાણ ઘટ્યું, પણ સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી.
ડિજિટલ ક્રાંતિ
જો નોટબંધીની કોઈ સૌથી મોટી અને સકારાત્મક ઉપલબ્ધિ હોય, તો તે દેશમાં આવેલી ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ છે. Paytm, PhonePe, Google Pay જેવી UPI એપ્સે ગામડે-ગામડે લેવડ-દેવડની રીત બદલી નાખી. આજે UPI દ્વારા રોજના લગભગ 14 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થાય છે, જે 2016ની તુલનામાં 1000 ગણાથી પણ વધુ છે. નોટબંધી દરમિયાન રોકડની અછતના કારણે નાના દુકાનદારોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી તમામ વર્ગોમાં QR કોડ દ્વારા પેમેન્ટ ઝડપથી લોકપ્રિય થયું.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા
નોટબંધીના પડકારો
નોટબંધીના કારણે નાના ઉદ્યોગો, રોકડ-આધારિત સેક્ટર અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો હતો. નાના ઉદ્યોગોને પાટા પર આવતા ઘણા વર્ષો લાગ્યા. જાણકારો માને છે કે નોટબંધીને કારણે GDPમાં પણ ઘટાડો નોંધાયો હતો. કાળું નાણું ખતમ થયું કે નહીં, તે મુદ્દે રાજકીય ઘમસાણ હજુ પણ શરૂ છે.

