વિદેશનો વધતો 'મોહ'! છેલ્લા 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી, આટલા લોકોને થઈ 'સમસ્યા'

9 Lakh Indians Renounced Citizenship : વિદેશના વધતા જતાં મોહમાં છેલ્લા 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકાતા છોડી છે. વિદેશ મંત્રાલયએ ગુરુવારે (11 ડિસેમ્બર) આ જાણકારી આપી હતી. વિદેશી નાગરિકતા અપનાવવા વાળાની આ પ્રવૃત્તિ સતત વધી રહી છે. વિદેશ ગયા પછી 16 હજારથી વધુ લોકોએ ફરિયાદ કરી છે.
રાજ્યસભામાં એક સવાલના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી કિર્તી વર્ધન સિંહે જણાવ્યું હતું કે, સરકાર ભારતીય નાગરિકતા છોડનારા લોકોનો વાર્ષિક રેકોર્ડ રાખે છે. સત્તાવાર આંકડા મુજબ, છેલ્લા 5 વર્ષમાં નાગરિકતા છોડનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
છેલ્લા 5 વર્ષમાં ભારતીય નાગરિકતા છોડનારના આંકડા
વર્ષ 2020 : 85,256
વર્ષ 2021 : 1,63,370
વર્ષ 2022 : 2,25,620
વર્ષ 2023 : 2,16,219
વર્ષ 2024 : 2,06,378
વર્ષ 2011થી 2019 દરમિયાન 11.89 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી
વર્ષ 2011 : 1,22,819
વર્ષ 2012 : 1,20,923
વર્ષ 2013 : 1,31,405
વર્ષ 2014 : 1,29,328
વર્ષ 2015 : 1,31,489
વર્ષ 2016 : 1,41,603
વર્ષ 2017 : 1,33,049
વર્ષ 2018 : 1,34,561
વર્ષ 2019 : 1,44,017
16 હજારથી વધુ લોકોને વિદેશમાં 'સમસ્યા'
જ્યારે વર્ષ 2024-25માં વિદેશમાં રહેનારા ભારતીયોની સમસ્યા બાબતે પૂછવામાં આવેલા સવાલમાં વિદેશ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, વિદેશ મંત્રાલયને કુલ 16,127 ફરિયાદ મળી છે. જેમાંથી 11,195 ફરિયાદ 'મદદ' પોર્ટલ અને 4,932 ફરિયાદ સીપીગ્રામ્સના માધ્યમથી મળી છે.
સાઉદી અરેબિયામાંથી સૌથી વધુ ફરિયાદ
જેમાં સૌથી વધુ સમસ્યા મામલે સાઉદી અરેબિયામાંથી 3,049 ફરિયાદ નોંધાઈ છે. ત્યારબાદ UAEમાંથી 1,587, મલેશિયા માંથી 662, યુનાઇટેડ સ્ટેટ્સ માંથી 620, ઓમાન માંથી 613, કુવૈત માંથી 549, કેનેડા માંથી 345, ઓસ્ટ્રેલિયા માંથી 318, બ્રિટેન માંથી 299 અને કતાર માંથી 289 ફરિયાદ મળી છે.
વિદેશી ભારતીયોની ફરિયાદોનું નિવારણ
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વિદેશી ભારતીયોની ફરિયાદોના નિવારણ માટે એક મજબૂત અને બહુ-સ્તરીય પદ્ધતિ સ્થાપિત કરવામાં આવી છે. જેમાં ઇમરજન્સી હેલ્પલાઇન, વોક-ઇન સુવિધા, સોશિયલ મીડિયા અને 24x7 બહુભાષી સપોર્ટનો સમાવેશ થાય છે. મોટાભાગના કેસોનો ઉકેલ સીધા સંદેશાવ્યવહાર, નોકરીદાતાઓ સાથે મધ્યસ્થી અને વિદેશી અધિકારીઓ સાથે સંકલન દ્વારા ઝડપથી આવે છે.
કેટલાક કેસોમાં વિલંબ માટે અધૂરી માહિતી, નોકરીદાતાઓ તરફથી સહકારનો અભાવ અને કોર્ટ કેસોમાં ભારતીય મિશનની મર્યાદિત ભૂમિકા જવાબદાર હતી. તેમણે કહ્યું કે, ભારતીય દૂતાવાસ પેનલ વકીલો દ્વારા કાનૂની સહાય પણ પૂરી પાડે છે, જેના માટે ઈન્ડિયન કમ્યુનિટી વેલફેર ફંડ મદદ કરે છે. પ્રવાસી કામદારોની સલામતી સરકાર માટે પ્રાથમિકતા છે અને આ માટે, પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્રો અને કોન્સ્યુલર કેમ્પ સતત માર્ગદર્શન અને સહાય પૂરી પાડે છે.

