8th Pay Commission : કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં સમાવી દેવાની માંગણી અંગે મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સરકારે લોકસભામાં સ્પષ્ટ કહ્યું છે કે, આવી માંગ સ્વિકારવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આ અંગે સાંસદ આનંદ ભદૌરિયાના એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ મોંઘવારી ભથ્થા અંગે સ્પષ્ટ જવાબ રજૂ કર્યો છે.
‘કોઈપણ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી’
નાણાં રાજ્યમંત્રીએ લોકસભામાં એક પ્રશ્નનો ઉત્તર આપતા સ્પષ્ટ કહ્યું છે કે, ‘આઠમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ પગારમાં મર્જ કરવા અંગેનો કોઈપણ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.’ વાસ્તવમાં આઠમા પગાર પંચ રચવાની વાતો સામે આવ્યા બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે, મોંઘવારી ભથ્થુ (Dearness Allowance-DA) અને મોંઘવારી રાહત (Dearness Relief-DR)માં વધારો ન કરીને તેને મૂળ પગારમાં જ મર્જ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે અગાઉ પણ આવી અટકળોને રદીયો આપી દીધો હતો.
ક્યારથી લાગુ થશે આઠમું પગાર પંચ
મીડિયા રિપોર્ટ મુજબ આઠમું પગાર પંચ 2026ના અંતે અથવા 2027ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે. આઠમું પગાર પંચ લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજન પ્રકાશ દેસાઈને ઓક્ટોબર મહિનામાં અધ્યક્ષ બનાવાયા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કહ્યું હતું કે, ભલામણ પહેલી જાન્યુઆરી-2026થી લાગુ થઈ શકે છે. જો આઠમું પગાર પંચ લાગુ થશે તો દેશમાં લગભગ 50 લાખથી વધુ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને ફાયદો થશે. રિપોર્ટનું માનીએ તો કર્મચારીઓની બેઝિક સેલેરીમાં 30 ટકાથી વધુનો વધારો થઈ શકે છે. નવા પે-કમિસન હેઠળ મિનિમમ બેઝિક સેલેરી 18000 રૂપિયાથી વધીને 30,000 રૂપિયા થઈ શકે છે.


