તેલંગાણા ફેક્ટરી બ્લાસ્ટની ઘટનામાં અત્યાર સુધીમાં 44ના મોત, CMએ રૂ.1 કરોડ સહાય આપવાની કરી જાહેરાત
Images Sourse: IANS |
Telangana Factory Blast: તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના પશમ્યલારમમાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટની ઘટના ભયાનક હોનારત સાબિત થઈ છે. ઘટનામાં મૃત્યુઆંક 44 પર પહોંચી ગયો છે અને હજુ ઘણા લોકો ગંભીર હોવાના પણ અહેવાલો મળ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પરિતોષ પંકજે જણાવ્યું હતું કે, 'કાટમાળ દૂર કરતી વખતે ઘણાં મૃતદેહો મળી આવ્યા છે. કાટમાળમાંથી 44 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ભયાનક ઘટનાક્રમ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
વિસ્ફોટ થયો ત્યારે પ્લાન્ટમાં લગભગ 90 શ્રમિકો હતા
તેલંગાણાના આરોગ્ય મંત્રી દામોદર રાજા નરસિંહાએ જણાવ્યું કે, 'મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી આજે અકસ્માત સ્થળની મુલાકાત લીધી છે.' મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને કાટમાળમાં દટાયેલા શ્રમિકોને બચાવવા અને તેમને સારવાર પૂરી પાડવા માટે શક્ય તમામ પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો: અમરેલી સિવિલ હોસ્પિટલમાં હિટ એન્ડ રનની ઘટના, 3 લોકોને અડફેટે લીધા
સોમવારે (30મી જૂન) ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટ પાછળ રાસાયણિક પ્રતિક્રિયા એક મુખ્ય કારણ હોઈ શકે છે. વિસ્ફોટ થયો ત્યારે પ્લાન્ટમાં લગભગ 90 લોકો કામ કરી રહ્યા હતા. કંપનીની વેબસાઇટ અનુસાર, સિગાચી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક ફાર્માસ્યુટિકલ કંપની છે.
પીએમ મોદીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. નોંધનીય છે કે, ફેક્ટરીના શ્રમિકો ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળ ઉપરાંત તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત વિવિધ રાજ્યોના છે.