8th Pay Commission : સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં 30% વધારાની શક્યતા
8th Pay Commission: દેશભરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો 8માં પગાર પંચની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આશા છે કે, હવે ટુંક સમયમાં કમિશન રચાશે, જેનો લગભગ 1.1 કરોડ લાભાર્થીઓને લાભ મળશે. સરકારી રિપોર્ટ પ્રમાણે 2026-27 નાણાકીય વર્ષ (FY27)સુધી 8માં પગાર પંચની ભલામણો લાગુ કરી શકાય છે. તેનો ઉદ્દેશ્ય માત્ર કર્મચારીઓની આવક વધારવાનો જ નહીં પરંતુ, વપરાશમાં વૃદ્ધિ કરીને અર્થતંત્રને વેગ આપવાનો પણ છે.
કેટલો વધી શકે છે પગાર
Ambit Institutional Equitiesના એક રિપોર્ટ મુજબ 8મા પગાર પંચની ભલામણો લાગુ થવાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં 30% થી 34% સુધીનો વધારો થઈ શકે છે. આ સંભવિત વધારો લગભગ 44 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને લાભ મળશે. એટલે કે કુલ લગભગ 1.12 કરોડ લાભાર્થીઓને ફાયદો થશે. જોકે, આ પગાર અને પેન્શન વધારાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને લગભગ ₹ 1.8 લાખ કરોડનો વધારાનો નાણાકીય બોજ સહન કરવો પડશે. જે સરકારના કુલ નાણાકીય ખર્ચ પર નોંધપાત્ર અસર કરી શકે છે.
8મું પગાર પંચ: કેવી રીતે નક્કી થશે પગાર ?
સરકારી કર્મચારીઓનો પગાર મુખ્ય ચાર ભાગમાં વહેચાય છે.
1. બેઝિક પગાર (Basic Pay)
આ પગારનો મુળ ભાગ હોય છે, જે કર્મચારીની સીનિયોરિટી અને ગ્રેડ પર આધારિત હોય છે.
2. મોંઘવારી ભથ્થું (DA)
આ મોંઘવારીની ભરપાઈ કરવા માટે આપવામાં આવે છે. અને હાલમાં તે 50% સુધી થઈ ગયું છે.
3. મકાન ભાડું (HRA)
શહેરની શ્રેણી પ્રમાણે આ અલગ અલગ હોય છે.
4 ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (TA)
કર્મચારીઓને પ્રવાસમાં થનારા ખર્ય માટે અમુક ફિક્સ રકમ આપવામાં આવે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશની હોનારત જ ના સર્જાઈ હોત, 6 વર્ષ અગાઉ સલાહ માની લીધી હોત તો...
સેલરી સ્ટ્રક્ચર
બેઝિક પગાર : 51.5 %
DA : 30.9 %
HRA : 15.4 %
TA : 2.2 %
ફિટમેન્ટ ફેક્ટર અને DA પર અસર
7માં પગાર પંચ મુજબ ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યું હતું, જેના પરિણામે લઘુત્તમ મૂળ પગાર ₹18,000 થયો હતો. જોકે, કમિશનની ભલામણો લાગુ થતાંની સાથે જ મોંઘવારી ભથ્થું (DA) ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યું હતું, કારણ કે એ સમયે ઉપભોક્તા મૂળ સુચકાંક (CPI Index)ને ફરીથી સેટ કરવામાં આવ્યો હતો.
જેના કારણે કુલ પગારમાં વાસ્તવિક વધારો માત્ર 14.3 ટકા સુધી સીમિત રહ્યો. કારણ કે વધારો માત્ર મૂળ વેતન પર જ આધારિત હતો. એજ પ્રમાણે 8માં પગાર પંચ લાગુ થયા પછી DA ને ફરી 0 શૂન્ય કરવામાં આવી શકે છે.