ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય
Monsoon Session : આજથી શરુ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં પહલગામ અને ઓપરેશન સિંદૂર મામલે ભારો હોબાળો થયો છે, જેના કારણે ગૃહની કાર્યવાહી દિવસમાં ચાર વખત સ્થગિત થયા બાદ આવતીકાલ સુધી સ્થગિત કરી દેવાઈ છે. સંસદની કામગીરી દરમિયાન વિપક્ષના સાંસદોએ ઓપરેશન સિંદૂર, પહલગામ હુમલા મુદ્દે વડાપ્રધાન મોદીને નિવેદન આપવાની માગ કરી હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ વિપક્ષની પ્રબળ માંગ બાદ બિઝનેસ એડવાઇઝરી કમિટીએ જાહેરાત કરી છે કે, ઓપરેશન સિંદૂર અંગે આગામી સપ્તાહના સત્રમાં લોકસભામાં 16 કલાક અને રાજ્યસભામાં 9 કલાક ચર્ચા કરાશે.
સંસદમાં પ્રથમ દિવસે જ હોબાળો, લોકસભા ચાર વખત સ્થગિત
આ પહેલા સંસદના સત્રના પ્રથમ દિવસે બંને ગૃહોમાં પહલગામ અને ઓપરેશન સિંદૂર મામલે ભારે હોબાળો થયો હતો. વિપક્ષોએ આ મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરવાની સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આખા દિવસમાં લોકસભા ચાર વખત સ્થગિત કરવામાં આવી હતી, ત્યારબાદ સાંજે ચાર વાગે કાર્યવાહી શરુ કરતાંની સાથે જ મંગળવાર 11.00 કલાક સુધી સ્થગિત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર પછી ટ્રમ્પે વારંવાર દેશનું અપમાન કર્યું, સંસદમાં ચર્ચા વખતે ખડગેના પ્રહાર
PMના પ્રવાસને ધ્યાને રાખી આગાહી સપ્તાહે 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા
વિપક્ષે આ સપ્તાહે જ ચર્ચા યોજવાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ વડાપ્રધાનના નિર્ધારિત વિદેશ પ્રવાસને ધ્યાનમાં રાખીને આ મામલો આગામી સપ્તાહ સુધી મુલતવી રાખવો પડ્યો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે ચર્ચા માટે માંગેલા આઠ વિષયોમાંથી 'ઓપરેશન સિંદૂર' એક હતો. ગયા અઠવાડિયે 24 વિપક્ષી પક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં આ વિષયો નક્કી કરવામાં આવ્યા હતા.
ઓપરેશન સિંદૂરને રાષ્ટ્ર માટે વિજય ઉત્સવ : PM મોદી
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે સરકારની સંમતિ મળી ગઈ છે. આજે વહેલી સવારે ચોમાસુ સત્ર પહેલા મીડિયાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરને રાષ્ટ્ર માટે 'વિજય ઉત્સવ' ગણાવ્યો હતો અને તેને ભારતીય સશસ્ત્ર દળોની તાકાતના પ્રમાણપત્ર તરીકે વર્ણવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘આ ચોમાસુ સત્ર એક 'વિજય ઉત્સવ' છે. સમગ્ર વિશ્વએ ભારતીય સશસ્ત્ર દળોની તાકાત જોઈ છે. ઓપરેશન સિંદૂર માટે નિર્ધારિત ઉદ્દેશ્ય 100 ટકા સફળતાપૂર્વક હાંસલ કરવામાં આવ્યો છે. માત્ર 22 મિનિટમાં આપણી સેનાએ આતંકવાદીઓને તથા તેમના જ ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા હતા.’