ઓપરેશન સિંદૂર પછી ટ્રમ્પે વારંવાર દેશનું અપમાન કર્યું, સંસદમાં ચર્ચા વખતે ખડગેના પ્રહાર
Monsoon Session Rajya Sabha: સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ ચૂક્યું છે. વિપક્ષે ચર્ચા શરૂ થાય તે પહેલાં જ હોબાળો કરતાં લોકસભાની કામગીરી સ્થગિત રહી હતી. જ્યારે રાજ્યસભામાં ચર્ચાઓ શરૂ થઈ હતી. વિપક્ષના સાંસદોએ ઓપરેશન સિંદૂર, પહલગામ હુમલા મુદ્દે વડાપ્રધાન મોદીને નિવેદન આપવાની માગ કરી હોબાળો મચાવ્યો હતો. સંસદના ઉપલા સદનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સવાલ પૂછ્યા હતાં. જેનો જવાબ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આપ્યા હતાં. તેમણે દાવો કર્યો હતો કે, સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા તૈયાર છે, અને તેને તમામ બાબતો દેશ અને વિશ્વ સમક્ષ રજૂ કરાશે.
રાજ્યસભામાં ખડગેએ કહ્યું કે, હું પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદની સ્થિતિ પર નિયમો મુજબ સદનમાં નોટિસ પાઠવવામાં આવી છે. પહલગામ આતંકી હુમલો 22 એપ્રિલના થયો હતો. અને તેને અંજામ આપનારા આતંકવાદીઓ હજી સુધી પકડાયા નથી. પહલગામમાં ચૂક થઈ હતી તે વાતનો સ્વીકાર ખુદ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કર્યો છે. અમે દેશમાં એકતા જાળવી રાખવા અને સેનાને મજબૂત બનાવવા સરકારને કોઈપણ શરત વિના સમર્થન આપ્યું હતું. એવામાં સરકાર પાસેથી અમે જાણવા માંગીએ છીએ કે, આખી સ્થિતિ શું છે?
ટ્રમ્પનું વારંવાર નિવેદન દેશ માટે અપમાનઃ ખડગે
ખડગેએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર મુદ્દે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ઉપ સેના પ્રમુખ, અને અમારા એક વરિષ્ઠ ડિફેન્સ અધિકારીઓએ અમુક ખુલાસા કર્યા છે. પહલગામમાં ઈન્ટેલિજન્સ નિષ્ફળ રહી છે. સરકારના લોકો આ નિવેદન આપી રહ્યા છે. અમને ઓપરેશન સિંદૂર વિશે સંપૂર્ણ માહિતી જોઈએ. તદુપરાંત અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના નિવેદન પર પણ સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરવુ જોઈએ. કારણકે, ટ્રમ્પે એક વાર નહીં, 24 વાર દાવો કર્યો છે કે, તેમણે સીઝફાયર કરાવ્યું છે. આ દેશ માટે અપમાનજનક વાત છે. બે મહિના પહેલાં જ અમે વિશેષ સત્રની માગ કરી હતી. હવે જ્યારે આપણે મળી રહ્યા છીએ તો પહલગામ હુમલો, ઓપરેશન સિંદૂર, આપણી સૂરક્ષા ચૂક અને વિદેશી નીતિ પર બે દિવસ ચર્ચા થવી જોઈએ.
નડ્ડાએ આપ્યો જવાબ
ખડગેના આ નિવેદન પર ભાજપ અધ્યક્ષ નડ્ડાએ જવાબ આપ્યો કે, નિયમ 267 હેઠળ નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ ઓપરેશન સિંદૂર અને પહલગામ હુમલા મુદ્દે ખડગે બોલવા લાગ્યા. અમે દરેક પ્રકારની, દરેક રીતે ચર્ચા કરવા તૈયાર છીએ, તમામ તથ્યો રજૂ કરીશું. આ પ્રકારના ઓપરેશન વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ થયું હતું. નડ્ડાએ કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીને હોબાળો કરતાં અટકાવી જણાવ્યું કે, પોતાના શબ્દમાં જ તાકાત હોવી જોઈએ, બુમો પાડવાની જરૂર પડતી નથી.