Bihar Elections 2025: બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિપક્ષી મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને સર્વસંમતિનો અભાવ સ્પષ્ટપણે સામે આવ્યો છે. ઉમેદવારોની યાદીના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે ગઠબંધનના પક્ષો વચ્ચે ઓછામાં ઓછી 11 બેઠકો પર સીધી લડાઈ થશે, જે વિપક્ષમાં સંકલનના ગંભીર અભાવને ઉજાગર કરે છે.
ગઠબંધનની અંદર જ ટક્કર
મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે કઈ બેઠકો પર ટક્કર થશે તેની વિગતો
RJD અને કોંગ્રેસ: 6 બેઠકો પર આમને-સામને.
CPI અને કોંગ્રેસ: 4 બેઠકો પર આમને-સામને.
VIP અને RJD: ચૈનપુરની એક બેઠક પર લડશે.
આરજેડીએ 143 ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં વૈશાલી, સિકંદરા, કહલગાંવ, સુલતાનગંજ, નરકટિયાગંજ અને વર્સાલીગંજ જેવી છ બેઠકોનો સમાવેશ થાય છે, જ્યાં કોંગ્રેસે અગાઉથી જ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તમામની નજર હવે 23મી ઑક્ટોબર પર છે, જે બીજા તબક્કા માટે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યાં સુધીમાં વિપક્ષી છાવણીમાં કોઈ સમાધાન થાય છે કે કેમ તે સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: શનિવારવાડા કિલ્લામાં નમાઝ બાદ વિવાદ: ગૌમૂત્રથી છંટાયું, ભાજપ નેતાએ ચીમકી ઉચ્ચારી
વિપક્ષ પર BJP અને LJPના પ્રહાર
મહાગઠબંધનમાં આંતરિક વિભાજનને પગલે NDA અને ચિરાગ પાસવાનને વિપક્ષ પર પ્રહાર કરવાનો નવો મુદ્દો મળી ગયો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ શાહનવાઝ હુસૈને મહાગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, 'આરજેડીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં સ્પષ્ટ થયું છે કે ટિકિટ વિતરણમાં કોઈ માપદંડનું પાલન થયું નથી. મહાગઠબંધન સંપૂર્ણપણે 'મહાફુટ' નો ભોગ બની ગયું છે. આરજેડીએ પોતાના જ કાર્યકરોની અવગણના કરી છે અને આ યાદીમાં એક પણ ઉમેદવાર એવો દેખાતો નથી જે જીતી શકે.'
LJP (રામ વિલાસ) ના વડા ચિરાગ પાસવાને પણ આ સ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, 'મેં ક્યારેય એવી ચૂંટણી જોઈ નથી જેમાં આટલું મોટું ગઠબંધન તૂટી પડવાની અણી પર હોય. બેઠકોની ફાળવણી પર મતભેદ એક વાત છે, પરંતુ અહીં બેઠકોની સંખ્યા પર પણ કોઈ સર્વસંમતિ નથી.'
તેમણે મહાગઠબંધનની સ્થિતિને NDA માટે વોકઓવર સમાન ગણાવી અને કહ્યું કે, 'વિપક્ષની અંદરની આ ફ્રેન્ડલી ફાઈટ ખરેખર NDA માટે વોકઓવર સાબિત થઈ રહી છે.'


