થાણેમાં હત્યાના ત્રણ કલાકમાં આરોપી પકડાયા
આરોપી દ્વારા અપહરણ કરાયેલી એક વ્યક્તિને બચાવી લેવાઈ
મુંબઈ - થાણેના શીળ ફાટા વિસ્તારમાં થયેલી હત્યાના બે કલાકમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે આરોપીએ અપહરણ કરેલા એક વ્યક્તિને પણ બચાવી લેવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. થાણે શીળ ડાયઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે ૨૯ જાન્યુઆરીના રોજ અમન શેખની હત્યા કાર ભાડા સંબંધિત પૈસાના વિવાદને લીધે કરવામાં આવી હતી.
સૈફ ખાન પાસેથી મોહમ્મદ ફૈઝલ મતિઉલ્લાહ શેખે એક કાર ભાડે લીધી હતી.પરંતુ સૈફ ખાનને પૈસા ચૂકવવાના બાબતે બંને વચ્ચે વિવાદ થયો હતો.આ વિવાદનું સમાધાન કરવા માટે ખાને તેને એક હોટલ પાસે બોલાવ્યો હતો. ખાન તેના બે સાથીઓ સાથે પહોંચ્યો હતો.જ્યારે મતિઉલ્લાહ પણ અમન સહિત કેટલાક મિત્રો સાથે આવ્યો હતો. બંને જૂથો વચ્ચે ચર્ચા ઝઘડો થયો હતો.દરમિયાન ખાન અને તેના સાથીઓએ અમનની ચાકુ મારીને હત્યા કરી દીધી,એમ પોલીસે કહ્યું હતું. ખાન અને અન્ય બે આરોપીઓએ મતિઉલ્લાહનું અપહરણ કર્યું અને ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા.પોલીસને તપાસમાં આરોપીઓ દેસાઈ ગામમાં હોવાનું માલુમ પડયું હતું.પોલીસે ઝડપી કાર્યવાહી કરી બે કલાકમાં જ આરોપીઓને પકડી લીધા હતા.આ કેસની વધુ તપાસ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.


