એકે ૪૭,એસએલઆર,વિસ્ફોટકો પકડાયા
આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલીઓએ આપેલી બાતમીને આધારેકાર્યવાહી
મુંબઈ - મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં નક્સલવાદીઓનો શસ્ત્રોનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો.સર્ચઓપરેશન દરમિયાન બાદ એક એકે ૪૭ ,બે એસએલઆર રાઇફલ ,વિસ્ફોટકો અને દારૃગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.એમ એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.
ગયા વર્ષે ૨૮ નવેમ્બર અને ૧૩ ડિસેમ્બરના રોજ કટ્ટર અનંત ઉર્ફે વિકાસ નવજ્યોત નાગપુરે સહિત અનેક નક્સલીઓએ આત્મસમર્પણ કર્યા બાદ શસ્ત્રોને શોધી કાઢવાની કામગીરી શરૃ થઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું.
આ આત્મસમર્પણ કરનારા નક્સલીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે અમે મુરુકુટદોહ બેઝ કેમ્પ હેઠળના દૂરના તકેઝારી-બેવર્ટોલા ડેમ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૃ કર્યું હતું. અમે એક એકે ૪૭ ,બે એસએલઆર રાઇફલ ,એક ૪૫ કોલ્ટ ઓટોમોટિવ પિસ્તોલ, એક ૧૨ બોર રાઇફલ, ક્લેમોર ખાણ, એકે ૪૭ મેગેઝિન, એસએલઆર મેગેઝિન, ઇન્સાસ મેગેઝિન,૧૮૭ એસએલઆર રાઉન્ડ,૫૮ એકે ૪૭ રાઉન્ડ તેમજ ડેટોનેટર, વિસ્ફોટકો, વોકી-ટોકી સેટ જપ્ત કર્યા હતા,એમ તેમણે કહ્યું હતું.
ડીઆઈજી અંકિત ગોયલ (ગઢચિરોલી રેન્જ) અને એસપી ગોરખ ભામરે (ગોંદિયા) ના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ અને સી-૬૦ કમાન્ડો દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.


