પોલીસ તપાસમાં ઢીલને લીધે ભાજપનાં ત્રણ મહિલા નેતાને મુક્તિ
Updated: Nov 25th, 2022
- મંત્રાલય સામે વિરોધ પ્રદર્શન પ્રકરણ
- 2021માં મહિલા અત્યાચારને મુદ્દે વિશેષ સત્ર બોલાવવા આંદોલન કરેલું
મુંબઈ: મંત્રાલય સામે 2021 માં વિરોધ પ્રદર્શન કરવાના કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે ભાજપના નેતા ચિત્રા વાઘ, વિધાનસભ્ય મનિષા ચૌધરી અને વિધાનસભ્ય ભારતી લાવેકરને દોષમુક્ત કર્યા છે.
મહિલાઓ સામેના અત્યાચાર બદલ વિશેષ સત્ર બોલાવવા માટે ત્રણે જણે મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુખ્ય પ્રધાને વિશેષ સત્ર માટે ઈનકાર કર્યો હતો. કોવિડ-19 રોગચાળા દરમ્યાન મહાવિકાસ આઘાડી સરકાર સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
આ સમય દરમ્યાન પ્રતિબંધક આદેશ લાગુ હતો જેમાં રાજકીય મેળાવડા અને રેલીઓ પર પ્રતિબંધ લદાયો હતો. ત્રણે મહિલા નેતાઓ સામે મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે સૂત્રોચાર કરાયા હોવાનો અારોપ છે પણ એફઆઈઆરમાં તેનો ઉલ્લેખ નથી. કોઈ સ્વાયત્ત સાક્ષીદારને સરકારી પક્ષે તપાસ્યા નથી અને તપાસ અધિકારીએ કોઈ સાક્ષીદારના નિવેદન રેકોર્ડ કર્યા નથી.માત્ર ત્રણ સાક્ષી તપાસાયા હતા જેઓ પોલીસ અધિકારી હતા. ત્રણ અધિકારીઓમાંથી એક ઘટનાસ્થળે હાજર પણ નહોતા , એમ કોર્ટે નોંધ્યું હતું. બાકીના બે સાક્ષીદારના નિવેદનમાં વિરોધાભાસ હતો જેમાં એકે જણાવ્યું હતું કે તેઓ પોમ્ફલેટ લઈને મંત્રાલયમા પ્રવેશ્યા હતા જ્યારે બીજાએ જણાવ્યા મુજબ તેમણે મંત્રાલયની બહાર પેમ્ફલેટ બાળ્યા હતા. સરકારી પક્ષ પુરવાર કરી શક્યો નહોતો કે પ્રતિબંધક આદેશ લાગુ હતો.