એન્ફોર્સમેન્ટ વિભાગે માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખને ફરી સમન્સ મોકલ્યા
બુધવારે પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ
મુંબઇ : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને મની લોન્ડરિંગના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) દ્વારા ફરી સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને બુધવારે સવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અગાઉ ચાર વખત દેશમુખને સમન્સ આપવામાં આવ્યું હતું. પણ તેઓ પૂછપરછ માટે હાજર થયા નહોતા. આમ હવે દેશમુખ બુધવારે ઇડીની ઓફિસમાં આવશે કે નહી તે બાબતે સવાલ ઉભો થયો છે. આ પ્રકરણમાં દેશમુખની ધરપકડના ભણકારા સંભળાય રહ્યા છે.
ઇડીની ટીમે તાજેતરમાં મુંબઇ અને નાગપુરમાં દેશમુખના ઘર, ઓફિસ, કોલેજમાં છાપો માર્યો હતો. તેમની પત્ની અને પુત્રને પણ સમન્સ મોકલવા છતા તેઓ પણ પૂછપરછ માટે આવ્યા નહોતા.
ઇડીની કાર્યવાહીથી બચવા દેશમુખે કોર્ટમાં અરજી કરી હતી. પણ કોર્ટમાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે ગાડીમાં વિસ્ફોટક મળવા અને ગાડીના માલિકની હત્યાના કેસમાં પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડ અને તે સમયના મુંબઇના પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરાય હતી. ત્યારબાદ પરમબીરે મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને આરોપ કર્યો હતો કે દેશમુખે દરમહિને ૧૦૦ કરોડ રૃપિયા વસૂલ કરવાનો વાઝેને ટાર્ગેટ આપ્યો હતો. જેને લીધે પોલીસ અને રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. બાદમાં દેશમુખને ગૃહપ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચારના આરોપ બદલ દેશમુખ સામે સીબીઆઇ અને ઇડીએ તપાસ શરૃ કરી હતી.