થાણા જિલ્લામાં 43 બાળકોમાં હાથીપગાની બીમારીના લક્ષણો

મુંબઇ : કોરોનાના કહેર ઓસર્યા બાદ થાણે જિલ્લામાં ૪૩ બાળકોમાં હાથીપગા (એલિફન્ટાઇસીસ)ના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. આમાં વધુમાં વધુ ૨૩ બાળકો ભિવંડીના હોવાથી આજથી પાંચમી જૂન સુધી ખાસ ઔષધોપચાર ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. સતત બે વર્ષ સુધી આ ઝુંબેશ સમગ્ર જિલ્લામાં ચાલુ રાખવામાં આવશે.
સૌથી વધુ કેસ ભિવંડીમાં હોવાથી હાથ ધરાયેલી સામુદાયિક ઔષધોપચાર ઝુંબેશ
હાથીપગાના રોગને ફાઇલેરિયાસીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ બાળપણમાં લાગુ પડે છે. મચ્છરના ડંખથી આ બીમારી ફેલાય છે. જેનાં લોહીમાં ફાઇલેરિયાના જીવાણું હોય તેને કોઇ મચ્છર ડંખ મારે અને પછી એ જ મચ્છર બીજાને કરડે ત્યારે એ વ્યક્તિના લોહીમાં પણ જીવાણું પ્રવેશે છે. ફાઇલેરિયાના જીવાણું કોઇ વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી સામાન્ય રીતે પાંચથી દસ વર્ષે લક્ષણ દેખાતા હોય છે. આમાં હાથ-પગ અને અંડકોષમાં સોજો ચડી જાય છે. થાણે જિલ્લાના આરોગ્ય અધિકારી ડો. નગરેના જણાવ્યા પ્રમાણે ૨૦૨૧માં છથી સાત વર્ષના વયજૂથના ૪૩ બાળકોમાં હાથીપગાના લક્ષણો જોવા મળ્યા બાદ ઉપચાર શરૃ કરવામાં આવ્યો છે.
બીજી તરફ મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે જંતુનાશક દવાનો છંટકાવ ગંદા પાણીનો નિકાલ અને પાણીની સેપ્ટીક ટેન્કમાં દવા નાખવામાં આવી રહી છે.

