મુંબઈમાં કોવિડના કારણે બે દર્દીઓના મોત, ડૉક્ટરોએ કહ્યું - કોઈ ખતરો નથી પણ સાવચેતી જરૂરી
Mumbai Covid Cases Rise: મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસના વધતાં કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. તેમજ 2 દર્દીઓનું મૃત્યુ પણ થયું છે. જો કે, બંને દર્દીઓની હાલત પહેલાથી જ ગંભીર હતી. એક દર્દીને મોઢાનું કેન્સર હતું, જ્યારે બીજા દર્દીને કિડનીની સમસ્યા હતી.
મે મહિનાથી કોવિડના દર્દીઓની સંખ્યામાં વધારો થયો
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હૉસ્પિટલોમાં દર્દીઓ માટે ખાસ પથારી અને ખાસ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ કોવિડ-19 ના ફેલાવાને નિયંત્રિત કરવા માટે સતત દેખરેખ રાખી રહ્યો છે. જાન્યુઆરી 2025 થી એપ્રિલ 2025 સુધી કોવિડ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી છે. જોકે, મે મહિનાથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર નાગરિકોને ન ગભરાવાની અપીલ કરી રહ્યું છે.
આ પણ વાંચો: કરોડોની બેનામી સંપત્તિ ઝડપાતાં વસઈ વિરારના મ્યુ. અધિકારી રેડ્ડી સસ્પેન્ડ
કોવિડ-19ના લક્ષણો
કોવિડ-19ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો થાય છે. આ સાથે ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન અનુભવવા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં તકલીફ એ એક મોટો ખતરાની નિશાની છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો દેખાય છે, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હૉસ્પિટલ અથવા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.