ગુજરાતમાંથી દંપતી સહિત ત્રણ આરોપી પકડાયા હતા
માસિક ચાર ટકા વળતરની લાલચે ૧૧ હજાર લોકોને ભરમાવ્યાઃ ૧૫૦૦ પોલીસ કર્મચારીના પૈસા પણ ફસાયા
મુંબઈ - થાણેમાં ૧૨૦૦ કરોડ રૃપિયાના રોકાણ કૌભાંડના સેંકડો પીડિતોએ પોલીસ કમિશનરની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ કેસની ઝડપી તપાસ અને છેતરપિંડીના ભોગ બનેલા પૈસા પરત કરવાની માંગ કરી હતી. આથક ગુના શાખાએ ગયા મહિને મહારાષ્ટ્રભરમાંથી ૧,૫૦૦ પોલીસ કર્મચારીઓ સહિત ૧૧ હજારથી વધુ રોકાણકારો સાથે થયેલા કૌભાંડના સંબંધમાં ગુજરાતમાંથી દંપતી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
પુણે, કોલ્હાપુર, જલગાંવ અને રત્નાગિરીથી આવેલા પ્રદર્શનકારીઓએ પોલીસ કમિશનરની ઓફિસના પ્રવેશદ્વારમાં જવા અવરોધ ઉભો કર્યો હતો.તેમણે દાવો કર્યો હતો કે પોલીસ તપાસ ગોકળગાયની ગતિએ આગળ વધી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ કૌભાંડમાં આશરે ૧૧,૦૦૦ રોકાણકારો અને ૧,૨૦૦ કરોડ રૃપિયા સામેલ હતા. એક અધિકારીએ અગાઉ કહ્યું હતું કે, એક સંકલિત કાર્યવાહીમાં થાણે પોલીસની આથક ગુના શાખાએ પાડોશી રાજ્ય ગુજરાતમાં આરોપી સમીર નાર્વેકર, તેની પત્ની નેહા અને સહયોગી અમિત પલાવને ઝડપી લીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ ૨૦૧૯માં પુણેમાં હેડકવાર્ટર ધરાવતી ટ્રેડ વિથ જાઝ નામની એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીની સ્થાપના કરી હતી.કંપની દ્વારા એક સ્કીમ રજૂ કરવામાં આવી હતી.એમાં કથિત રીતે સમગ્ર મહારાષ્ટ્રમાંથી ૧,૫૦૦ પોલીસ કર્મચારીઓ સહિત ૧૧,૦૦૦થી વધુ લોકો જોડાયા હતા.
આરોપી ત્રિપુટીએ લોકોને શેરબજાર અને અન્ય સ્કીમમાં રોકાણ પર માસિક ચાર ટકા વળતરના સ્વપ્ન દાખવ્યા હતા.કંપનીએ રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે લગભગ ૧૦ ટકા માસિક કમાણીની લાલચ આપી હતી
જોકે બાદમાં કંપનીએ અચાનક તેની ઓફિસો બંધ કરી હતી.તેમજ રોકાણકારોને જવાબ આપવાનું બંધ કરી દીધું.આથી રોકાણકારોએ પોલીસમાં ફરિયાદો નોંધાવી હતી.શરૃઆતની તપાસ મુજબ રોકાણકારો સાથે કરોડો રૃપિયાની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડયું હતું..
આથક ગુના શાખાને એવી માહિતી મળી છે કે ઘણા સરકારી અધિકારીઓ અને અમલદારોએ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું.એમાંથી કેટલાક નોકરીમાંથી નિવૃત્ત થયા હતા,
આ ત્રણ આરોપી સામે મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ, ૧૯૯૯ અને ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ ની કલમ ૬૧(૨) (ગુનાહિત કાવતરું) અને ૩૧૬(૫)( ગુનાહિત વિશ્વાસ ભંગ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
થાણે આથક ગુના શાખા આરોપીઓ સાથે જોડાયેલા બેંક ખાતાઓ, નાણાકીય દસ્તાવેજો અને આથક વ્યવહારની તપાસ કરી રહી છે.આ રેકેટમાં વધુ ધરપકડ થવાની સંભાવના છે, એમ અધિકારીએ અગાઉ જણાવ્યું હતું.
પત્રકારો સાથે વાત કરતા, છેતરપિંડીનો ભોગ બનેલા એક રોકાણકારે કહ્યું હતું કે મોટાભાગના લોકોએ કંપનીમાં પૈસા રોકવા માટે લોન લીધી અથવા પોતાની માલિકીની બધી વસ્તુઓ વેચી દીધી હતી.હવે અમારા બાળકોનો અભ્યાસ અને લગ્ન ઠપ્પ થઈ ગયા છે.
પ્રદર્શનકારીઓએ આથક ગુના શાખાની કાર્યવાહી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું કે આ કૌભાંડ રૃ. ૧,૨૦૦ કરોડનું હતું.ત્યારે પોલીસે ફક્ત રૃ.૧૨ લાખની જપ્તી કરી હતી.


