ડોંબવલી ફેક્ટરીના માલિક મલય મહેતાને 29 મે સુધીના રિમાન્ડ
Updated: May 26th, 2024
પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા
ફેક્ટરીનાં સ્થળે તપાસ તથા આ દુર્ઘટનામાં સંકળાયેલા અન્યોની ભૂમિકા તપાસવાની બાકી હોવાની દલીલ
મુંબઇ : થાણે જિલ્લાના ડોંબિવલીમાં જે કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં દસનાં મોત થયા છે એ ફ્લેટરીના માલિકને થાણેની કોર્ટે શનિવારે ૨૯ મે સુધીની પોલીસ કસ્ટડી આપી છે. ઘટનામાં ૬૦થી વધુ ઈજા પામ્યા હતા.
અમુદન કેમિકલ્સના માલિક આરોપી મલય મહેતા (૩૮)ને કલ્યાણ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. પોલીસે ૧૪ દિવસની કસ્ટીડી માગીને દલીલ કરી હતી કે ફેક્ટરીના સ્થળની મુલાકાત લઈને ગુનામાં વધુ લોકોની સંડોવણી છે કે નહીં એ ચકાસવાનું બાકી છે. ભયાનક વિનાશ થયો છે અને બનાવમાં ઘણા લોકોની ભૂમિકા તપાસવાની બાકી છે.
મહેતાના વકિલે દલીલ કરી હતી કે કંપની પાસે તમામ પરવાનગી હતી અને તમામ નિયમો પાળ્યા હતા. કેસમાં હસ્તક્ષેપ અરજી દ્વારા પોલીસની અરજી અને પૂછપરછને સમર્થન આપવામાં આવ્યું હતું. તમામ પક્ષની દલીલ સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટે આરોપીને કસ્ટડી આપી હતી.
ભારતીય દંડ સંહિતા ઉપરાંત જાહેર માલમતાને નુકસાન વિરોધી કાયદો અને વિસ્ફોટક કાયદા હેઠળ પણ ગુના નોંધવામાં આવ્યા છે. રસાયણોના મિશ્રણ વખતે સાવચેતી લેવાઈ નહોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસે ફેક્ટરીના માલિકો, ડિરેક્ટરો, મેનેજમેન્ટ સ્ટાફ અને ફેક્ટરીના સુપરવાઈઝો સામે સદોષ મનુષ્યવધ, હેતુપૂર્વક ઈજા પહોંચાડવી અને વિસ્ફોટક પદાર્થ હાથ ધરવામાં બેદરકારી દાખવવાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.