Get The App

દીકરા સામે વિપક્ષે ઉમેદવાર જ ના ઉતાર્યો તો ભાજપના કદાવર નેતાએ કહ્યું - 'ભગવાનની લીલા...'

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
BMC Election 2026


(IMAGE - x.com/NeilSomaiya)

BMC Election 2026: મહારાષ્ટ્રના રાજકારણમાં ભ્રષ્ટાચાર સામેના જંગ માટે જાણીતો ચહેરો ગણાતા ભાજપના દિગ્ગજ નેતા કિરીટ સોમૈયાના પુત્ર, નીલ સોમૈયા માટે બીએમસી ચૂંટણી 2026ના સમીકરણોમાં મોટો પલટો આવ્યો છે. મુલુંડના વોર્ડ નંબર 107માં વિપક્ષી ગઠબંધનના ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થતાં હવે નીલ સોમૈયા માટે જીતનો માર્ગ ઘણો સરળ જણાઈ રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસ જેવા મોટા વિરોધ પક્ષોમાંથી કોઈ પણ ઉમેદવાર હવે તેમની સામે મેદાનમાં રહ્યા નથી.

હંસરાજ દાનાનીનું ફોર્મ રદ થતા નીલ સોમૈયાની સ્થિતિ મજબૂત

વોર્ડ નંબર 107માં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની પાર્ટીઓએ શરદ પવારની એનસીપી(SP) માટે આ બેઠક છોડી હતી. શરદ પવારની પાર્ટીએ હંસરાજ દાનાનીને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમણે ઉમેદવારી ફોર્મ પણ ભર્યું હતું. જોકે, ફોર્મ સાથે એફિડેવિટ ન જોડવાને કારણે તેમનું ફોર્મ રદ થઈ ગયું છે. આ પરિસ્થિતિ જોતા કિરીટ સોમૈયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને ખુશી વ્યક્ત કરતા કહ્યું, 'ગૉડ ઇઝ ગ્રેટ! ઠાકરે બ્રધર્સ, કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટી આ વોર્ડમાં ઉમેદવાર ઉતારવામાં નિષ્ફળ રહી છે.'

બાકીના 5 વોર્ડમાં જોરદાર જંગ, પણ વોર્ડ 107માં સમીકરણો પલટાયા

મુલુંડ વિધાનસભા હેઠળ આવતા અન્ય 5 વોર્ડમાં વિપક્ષના ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ માત્ર 107 નંબરમાં જ વિપક્ષી ગઠબંધનનો ઉમેદવાર ન રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, નીલ સોમૈયા માટે રસ્તો સાવ સાફ નથી. કોંગ્રેસે આ બેઠક પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી(VBA) માટે છોડી છે એટલે કે નીલ સોમૈયા સામે વંચિત બહુજન આઘાડીનો ઉમેદવાર અને અન્ય 9 અપક્ષ ઉમેદવારો હજુ પણ મેદાનમાં છે.

આ પણ વાંચો: BMC ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો, સેંકડો કાર્યકરો સાથે બે નેતાના પાર્ટીને 'રામ-રામ', ભાજપમાં જોડાયા

ભાજપનો ગઢ અને મજબૂત જનાધાર

વોર્ડ નંબર 107 એ ભાજપનો પરંપરાગત ગઢ માનવામાં આવે છે. અહીં ગુજરાતી અને મારવાડી સમાજની મોટી વસ્તી છે, જે ભાજપની મજબૂત વોટબેન્ક ગણાય છે. નીલ સોમૈયા 2017માં પણ અહીંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. આ વખતે તેમને એકનાથ શિંદેની શિવસેનાનું પણ સમર્થન છે.

શરદ પવારની પાર્ટીનો ઉમેદવાર રેસમાંથી બહાર થતા હવે ઠાકરે જૂથ અને એનસીપી કોઈ અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કરી શકે છે. વંચિત બહુજન આઘાડીને કોંગ્રેસનું સમર્થન હોવાથી તે નીલ સોમૈયાને ટક્કર આપી શકે છે. કિરીટ સોમૈયા જે રીતે વિપક્ષી નેતાઓના ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવા માટે જાણીતા છે, તે જોતા વિપક્ષ તેમને તેમના જ ગઢમાં પરાજિત કરવાના તમામ પ્રયાસો કરશે.

દીકરા સામે વિપક્ષે ઉમેદવાર જ ના ઉતાર્યો તો ભાજપના કદાવર નેતાએ કહ્યું - 'ભગવાનની લીલા...' 2 - image