એન્ટીટેરરિઝમ સ્કવોડે નવી મુંબઈમાં ઘૂસણખોરી કરનારા પાંચ બાંગ્લાદેશીને પકડયા
Updated: Mar 31st, 2024
નવી મુંબઈમાં રહેતા અને કડિયા કામ કરતા હતા
મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્કવોડે (એટીએસ)ની ટીમે નવી મુંબઈમાં ગેરકાયદેસર રીતે રહેતા પાંચ બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી છે, એમ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.
એન્ટી ટેરરિઝમ સ્કવોડના વિક્રોલી યુનિટે ઘણસોલીમાં બે સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરી જરૂરી કાર્યવાહી કરી હતી.
ઘણસોલીમાં જનાઈ કમ્પાઉન્ડ અને શિવાજી તળાવ નજીકથી પાંચ આરોપીને પકડવામાં આવ્યા હતા. ભારતીયો રહેવા માટે તેમની પાસે જરૂરી દસ્તાવેજો નહોતા. આરોપી આહત જમાલ શેખ (ઉં.વ.૨૨), રેબુલ સમદ શેખ (ઉં.વ.૪૦), રોની સોરીફુલ ખાન (ઉં.વ.૨૫) જુલુ બિલાલ શરીફ (ઉં.વ.૨૮) અને મોહમ્મદ મુનિર મોહમ્મદ સિરાજ મુલ્લા (ઉં.વ.૪૯) નવી મુંબઈમાં કડિયા તરીકે કામ કરતા હતા. તેમણે ભારતમાં કેવી રીતે ઘૂસણખોરી કરી એની માહિતી પોલીસ મેળવી રહી છે.
એટીએસના પીએસઆઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે પોલીસે ફોરેનર્સ એક્ટ, ૧૯૪૬ અને પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) નિયમ, ૧૯૫૦ હેઠળ કેસ નોંધી પાંચ આરોપીની ધરપકડ કરાઈ હતી.
રબાળે પોલીસે એફઆઈઆર નોંધી વધુ તપાસ આદરી છે.