મહારાષ્ટ્ર સંકટઃ કાલે ઉદ્ધવની સરકારનું ભવિષ્ય થશે નક્કી, કરશે ફ્લોર ટેસ્ટનો સામનો
Updated: Jun 29th, 2022
- રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા પત્ર લખ્યો
મુંબઈ, તા. 29 જૂન 2022, બુધવાર
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલે હવે નવો વળાંક લીધો છે. ભાજપ અને અપક્ષના કેટલાક ધારાસભ્યોએ ગઈકાલે ફ્લોર ટેસ્ની માગણી ઉઠાવી હતી. બીજી બાજુ એકનાથ શિંદે અને બંડખોર ધારાસભ્યો આજે સાંજે મુંબઈ પરત આવી શકે છે.
વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાયું
મહરાષ્ટ્રમાં ગુરૂવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. રાજ્યપાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તેનો એજન્ડા મુખ્યમંત્રી સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ છે. ગુરૂવારે સાંજે 5:00 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ થઈ શકે છે.
રાજ્યપાલે પત્રમાં લખ્યું હતું કે, પ્રદેશના રાજકારણની સ્થિતિ ખાસ સારી નથી. શિવસેનાના 39 ધારાસભ્યો પહેલેથી જ મહાવિકાસ અઘાડી ગઠબંધનમાંથી અલગ થવાની વાત કહી ચુક્યા છે. જ્યારે 7 અપક્ષ ધારાસભ્યોએ પણ પત્ર લખીને ઉદ્ધવ સરકારને આપેલું સમર્થન પાછું લેવાની વાત કરી છે.
રાજ્યપાલના કહેવા પ્રમાણે વિપક્ષના નેતાઓએ પણ તેમને મળીને ફ્લોર ટેસ્ટની માગણી કરી છે.
એકનાથ શિંદે ફ્લોર ટેસ્ટમાં થશે સામેલ
ગુવાહાટી ખાતે કામાખ્યાદેવીના મંદિરમાં દર્શન કર્યા બાદ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, તેઓ મુંબઈ જશે અને ફ્લોર ટેસ્ટમાં સામેલ થશે. તેમણે મંદિરમાં મહારાષ્ટ્રના લોકો માટે પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું હતું.
વધુ વાંચોઃ ભાજપે ફ્લોર ટેસ્ટની માગણી કરતાં મહારાષ્ટ્રના રાજકારણમાં હિલચાલ તેજ