Get The App

મધ્ય રેલવે પર ચાલતી લોકલમાંથી પડી જતાં 3 મુસાફરો ઘાયલ

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
મધ્ય રેલવે પર ચાલતી લોકલમાંથી પડી જતાં 3 મુસાફરો ઘાયલ 1 - image

માટુંગા રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત  

ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ ભીડને કારણે  અકસ્માત સર્જાયો હોવાની આશંકા 

મુંબઈ  -  મુંબઈના સાયન અને માટુંગા રેલવે સ્ટેશન વચ્ચે સીએસએમટી જતી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી ત્રણ મુસાફરો ઘાયલ થયા હતા. લોકલ ટ્રેનમાં ભારે ભીડ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. ત્રણેય મુસાફરોમાંથી એકની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. 

આ ઘટના શુક્રવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માતમાં નાલાસોપારાનો રહેવાસી ૨૬ વર્ષીય સચિન શર્મા, ગોવંડીનો રહેવાસી ૩૦ વર્ષીય અફઝલ ચૌધરી અને કુર્લાનો રહેવાસી ૩૫ વર્ષીય ઝેનુઅલ સૈયદ ઘાયલ થયો હતો.

આ ત્રણેય મુસાફરો દક્ષિણ મુંબઈ તરફ જતી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. સાયન સ્ટેશનથી ટ્રેન ઉપડયા પછી અને લગભગ ૫૦૦ મીટરનું અંતર કાપ્યાના થોડા સમય પછી ભીડને કારણે દરવાજા પાસે ઉભા રહેલા ત્રણેય ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા.

દાદરના રેલવે અધિકારીએ માહિતી આપી હતી કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ત્રણેય મુસાફરો ચાલતી ટ્રેનમાં દરવાજા પાસે ઉભા હતા. તેથી પોતાનું સંતુલન ગુમાવતા ત્રણેય લોકલ ટ્રેનમાંથી પડી ગયા હતા. આ બાદ તેમના સાથી મુસાફરોએ આ અંગે કંટ્રોલ રુમમાં જાણ કરી હતી. 

માહિતી મળતાં જ જીઆરપીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ તમામ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમાંથી ઝેનઅુલ સૈયદની સ્થિતિ ગંભીર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

આ ઘટના બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાય ગયો હતો. વધુમાં સલામતીના કારણોસર રેલવે વહીવટીતંત્રે અકસ્માત બાદ ઓવરહેડ ઉપકરણ નંબર પાંચને અસ્થાયી રુપે બંધ કરી દીધું હતું. આનાથી મધ્ય રેલવેનો વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાય ગયો હતો. 

 સાયન રેલવે સ્ટેશનથી આગળ વધતી લોકલ ટ્રેનમાં કેટલાક મુસાફરો વચ્ચે વિવાદ સર્જાતા ચાલતી ટ્રેનમાંથી આ ત્રણેય પડી ગયા હોવાનું પણ આશંકા છે. જો કે,  આ અકસ્માતનું ચોક્કસ કારણ હાલ અસ્પષ્ટ છે.

ઘાયલોની સ્થિતિ સ્થિર થયા બાદ તેમના નિવેદનો નોંધતા આ અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.  તેથી જીઆરપી પોલીસે આ કોઈ આકસ્મિત ઘટના છે કે કોઈ ઝઘડો કે વિવાદને કારણે આ અકસ્માત સર્જાયો છે. તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.