વિરારમાં ચાર માળની બિલ્ડિંગનો હિસ્સો ધરાશાયી થતાં 14ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત્
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Source: Twitter
Virar building collapse: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં એક કાળજુ કંપાવનારી દુર્ઘટના ઘટી છે. બુધવારે એક ગેરકાયદેસર ચાર માળની બિલ્ડિંગનો હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થઈ ગયા છે, જેમાં એક મા-દીકરીની જોડી પણ સામેલ છે.
આ બિલ્ડિંગ ગેરકાયદેસર હતી
અક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે બીજી તરફ રાહત અને રેસ્ક્યૂ ઓપરેશન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દુર્ઘટના બુધવારે સવારે લગભગ 12:05 વાગ્યે સર્જાઈ હતી. રામાબાઈ અપાર્ટમેન્ટનો પાછળનો હિસ્સો અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ બિલ્ડિંગ 2012માં બનાવવામાં આવી હતી, પરંતુ તે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર હતી. આ દુર્ઘટના બાદ પોલીસે બિલ્ડિંગના બિલ્ડરને કસ્ટડીમાં લઈ લીધો છે. વસઈ-વિરાર નગર નિગમ (VVMC)ની ફરિયાદ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની બે ટીમો ઘટનાસ્થળે રાહત કાર્યમાં રોકાયેલી છે. પાલઘર જિલ્લા કલેક્ટર ઈન્દુ રાની જાખરે જણાવ્યું કે, કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.
કાટમાળમાં ફસાયેલા લોકોની તલાશ
દુર્ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ રેસક્યૂ ઓપરેશન હજુ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 17 લોકો મળી આવ્યા છે, જેમાંથી 14 લોકોના મોત થયા છે, એક ઘાયલ છે અને બે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
શરૂઆતમાં કાટમાળ હટાવવાનું કામ હાથથી કરવું પડ્યું, કારણ કે ભારે મશીનો સાંકડા વિસ્તારમાં પહોંચી નહોતા શકતા. હવે મશીનોની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. VVMCના આસિસ્ટન્ટ કમિશનર ગિલ્સન ગોન્સાલ્વિસે જણાવ્યું કે, હવે કામ ઝડપથી ચાલી રહ્યું છે.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી વિવેકાનંદ કદમે જણાવ્યું કે, જે ચાલી પર બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી તે ખાલી હતી, જેના કારણે મોટું નુકસાન ટળી ગયું. નજીકના અન્ય ચાલીઓને પણ ખાલી કરાવી દેવામાં આવી છે અને ત્યાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
ગેરકાયદેસર બિલ્ડિંગ અને બેઘર થયા પરિવાર
રામાબાઈ એપાર્ટમેન્ટમાં કુલ 50 ફ્લેટ હતા, જેમાંથી 12 ફ્લેટ તે ભાગમાં હતા જે ધરાશાયી થયો હતો. VVMC એ સ્પષ્ટતા કરી કે, આ બિલ્ડિંગ પરવાનગી વિના બનાવવામાં આવી હતી.
આ દુર્ઘટનાએ ઘણા પરિવારોને બેઘર કરી દીધા છે. અસરગ્રસ્ત લોકોને હાલમાં ચંદનસર સમાજ મંદિરમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમને ખોરાક, પાણી, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે.









