સુરેન્દ્રનગરના ચુડામાં પાણીના પ્રવાહમાં દાદા-પૌત્ર તણાઈ જતા મોત, માલધારી સમાજમાં શોકનો માહોલ
Surendranagar News: સુરેન્દ્રનગરના જિલ્લાના ચુડા તાલુકાના ચમારડી ગામમાં એક કરુણ ઘટના બની છે, જ્યાં નદીના પ્રવાહમાં તણાઈ જવાથી દાદા અને પૌત્રનું મૃત્યુ થયું છે.
મળતી માહિતી મુજબ માલધારી સમાજના કરણભાઈ કાનાભાઈ ચાવડા અને તેમનો પૌત્ર નરેશભાઈ દોલાભાઈ ચાવડા ગામ નજીક પશુ ચરાવી રહ્યા હતા. તે દરમિયાન પૌત્ર નરેશ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. પૌત્રને બચાવવા માટે દાદા કરણભાઈએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ કમનસીબે તેઓ પણ પ્રવાહમાં તણાઈ ગયા હતા.
નદીના કિનારે ઊભેલા અન્ય લોકોએ આ દાદા-પૌત્રને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી તેમને બહાર કાઢ્યા હતા. બાદમાં તેમને તાત્કાલિક ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ કરતા દાદા અને પૌત્ર બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ચમારડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.