Gujarat

છ વર્ષના બે પિતરાઈ ભાઈઓ તળાવમાં ડૂબતા કરૂણ મોત

By GS Team
20 Aug 20191 min read
This article was originally published on 20 Aug 2019
છ વર્ષના બે પિતરાઈ ભાઈઓ તળાવમાં ડૂબતા કરૂણ મોત

મોરબી,તા. 20 ઓગસ્ટ 2019, મંગળવાર

ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ તળાવમાં આજે બે માસુમ પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. તળાવના કાંઠે જ રહેતા પરિવારના આ બન્ને બાળકોના રમતા રમતા તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત થતા ભારે કરુણાતીકા સર્જાઈ હતી.

આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ રામદેવપીરના મંદિર નજીક રહેતા વિચરતી વિમુક્ત જાતિના સુંડલા બનાવતા વાંઝા પરિવારના બે બાળકો સુરેશ પ્રતાપ વાંઝા અને રવિ તુતાભાઈ વાંઝા (ઉં.૬-૬ વર્ષ )ના આજે ગામમાં આવેલ તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા.બાદમાં બન્ને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ટંકારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ટંકારા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે, હતભાગી બન્ને બાળકો કાકા અને મોટા બાપુના સંતાનો હતા. તળાવના કાંઠે જ તેમના પરિવારજનો ઝુંપડા બાંધીને રહે છે. આજે બન્ને બાળકો તેમના ઝુંપડા પાસે રમતા હતા અને રમતા રમતા બન્ને બાળકો અચાનક તળાવના કાંઠે પહોંચી ગયા હતા આથી તળાવના ઉડા પાણીમાં ડૂબી જતાં બન્ને બાળકોના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના બે માસુમ કૌટુંબિક ભાઈઓના ડૂબી જવાથી મોત થતા ભારે અરેરાટી પ્રસરી હતી.