મોરબીનાં ચકચારી સિંચાઈ કૌભાંડમાં આખરે ભાજપ મહામંત્રીની ધરપકડ
- આગોતરા જામીન અરજી રદ થયા બાદ
- સિંચાઈ કૌભાંડમાં ભૂમિકા અંગે સઘન પુછપરછ
મોરબી,તા. 20 જુલાઈ 2019, શનિવાર
મોરબીના ચકચારી સિંચાઈ કોભાંડમાં ધરપકડનો સિલસિલો સતત જોવા મળી રહ્યો છે. અગાઉ ધારાસભ્ય સહિતના મોટા માથાઓની ધરપકડ બાદ ભાજપના અગ્રણી ઘનશ્યામ મોહનભાઈ ગોહિલનું નામ ખુલ્યું હતું. જેની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે આજે એલસીબી ટીમે ભાજપ મહામંત્રીની ધરપકડ કરીને તેને મોરબી લાવી એ ડિવિઝન પોલીસ મથકને સોપવામાં આવ્યા છે.
મોરબી જીલ્લાના નાની સિંચાઈ કોભાંડમાં અગાઉ હળવદના ધારાસભ્ય, નિવૃત ઈજનેર અને વકીલની ધરપકડ કરવામાં આવી હતી.ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ કરોડોના કોભાંડમાં સઘન તપાસને પગલે જીલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામ ગોહિલનું નામ ખુલવા પામ્યું હતું. જોકે ધરપકડથી બચવા માટે ભાજપ અગ્રણીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ અરજી કોર્ટે ફગાવી દેતા ધરપકડની તલવાર તેના પર લટકતી જોવા મળી હતી અને ગમે ત્યારે ધરપકડ થઇ શકે તેવા એંધાણ સાચા પડયા છે.
એલસીબી ટીમે હળવદ ખાતેથી ભાજપના જીલ્લા મહામંત્રી ઘનશ્યામ મોહનભાઈ ગોહિલ (રહે માનસર તા. હળવદ)ની આજે ધરપકડ કરી હતી. એલસીબી ટીમ હળવદથી મોરબી લાવીને આરોપી ભાજપ મહામંત્રીને એ ડિવિઝન પોલીસને સોપવામાં આવ્યા છે. જ્યાં સિંચાઈ કૌભાંમાં તેમની ભૂમિકા અંગે સઘન પુછપરછ શરૂ કરવામાં આવી હતી.