લોકડાઉન વચ્ચે ઉંઝાથી દંપતી મોરબી આવતા ગુન્હો દર્જ
- મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગ બદલ 68 સામે કાર્યવાહી
- વાંકાનેરમાં હોમ ક્વોરન્ટાઇન દંપતીએ ટ્રાવેલ હીસ્ટ્રી ન જણાવી ખોટી માહિતી આપતા તથા દિકરીને રાજકોટથી લાવતા પોલીસમાં ફરિયાદ
મોરબી, તા.01 મે 2020, શુક્રવાર
લોકડાઉન હોવા છતાં લોકો દ્વારા ઘૂસણખોરી થઇ રહી છે. મોરબીમાં પોલીસ કે તંત્રની પરવાનગી વગર દંપતી ઉંઝાથી મોરબી આવતા ગુન્હો નોંધાયો છે. જ્યારે વાંકાનેરમાં દંપતીએ હોમ ક્વોરન્ટાઇન દરમિયાન ડોકટરને ટ્રાવેલ હિસ્ટ્રી ન જણાવી ખોટી માહિતી આવતા અને તેમની દિકરીને રાજકોટથી લાવી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો નોંધાયો છે. આ ઉપરાંત જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ ૬૮ સામે કાર્યવાહી કરાઇ છે.
મોરબી સીટી બી. ડીવીઝન પીએસઆઈ આર.સી. રામાનુજે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે કોરોના લોકડાઉન ચાલતું હોય અને કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય હોય જેથી બીજા જિલ્લામાં અવરજવર પ્રતિબંધ છે છતાં પટેલ લલિતકુમાર જીતેન્દ્રભાઈ અને સોનલબેન લલિતકુમાર પટેલ (રહે. બંને મોરબી-૨ વૃંદાવન સોસાયટી મૂળ કહોડા તા. ઊંજા જીલ્લો મહેસાણા) કહોડા - ઊંઝા તાલુકાથી મોરબી આવી જાહેરનામાં ભંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેરમાં ફરજ બજાવતા ડોક્ટર હરિદાસ નરભેરામ દેસાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી ગફારશા હુશેનશા ફકીર કોરોનાગ્રસ્ત વિસ્તાર રાજકોટથી વાંકાનેર આવ્યો હોય જેને હોમ ક્વોરન્ટાઈન કરવાના હોય અને આરોપી એ રાજ્ય સેવકને પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવવા બંધાયેલ હોવા છતાં પોતાનો હોમ ક્વોરન્ટાઈન પીરીયડ વહેલો પૂર્ણ થાય જેથી તેના પત્ની ગુલશનબેન ગફારશા ફકીરે ડો. હેતલ કાકડિયાને ખોટી માહિતી આપી તેમજ બંને આરોપી દંપતીએ રાજકોટથી દીકરી રૂકશારબેનને વાંકાનેર લાવી જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગનો ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવી છે.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા દુકાનો ખુલ્લી રાખનાર ૨૧ સામે કાર્યવાહી કરવામાં આવી છે જયારે ટોળું એકત્ર થયું હોય તેવા ૯ કેસમાં ૪૧ સામે કાર્યવાહી કરી છે બિનજરૂરી અવરજવરના ૩ કેસમાં ૪ સામે કાર્યવાહી કરી છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના એક કેસમાં ૨ વ્યક્તિ સામે કાર્યવાહી કરાઈ છે. લોકડાઉનમાં કુલ ૧૯૧ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગના કુલ ૩૩ કેસો કરીને ૬૮ સામે કાર્યવાહી કરવામાં આવી છે.