Mera Bharat Mahan
કાશીનું મરણ અને કાશીનું ભ્રમણ
By GS Team
26 Jun 20265 mins read
કાશીમાં શ્રાવણ મહિનાથી વારાણસી આવતા યાત્રીઓ માટે રોપ-વે શરૂ થશે. 3.75 કિલોમીટરના આ રૂટ પર 5 સ્ટેશનો હશે અને 220 કેબલ-કાર દ્વારા તીર્થભૂમિનો એરિયલ વ્યુ મળશે. 800 કરોડના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટમાં અત્યાધુનિક સેન્સર અને સ્કેનર લાગશે, જે ગંડોલાની પળપળની જાણકારી કંટ્રોલ રૂમને આપશે.
Summarized by AI; it may make mistakes. Check important info
કાશીમાં શ્રાવણ મહિનાથી વારાણસી આવતા યાત્રીઓ માટે રોપ-વે શરૂ થશે. 3.75 કિલોમીટરના આ રૂટ પર 5 સ્ટેશનો હશે અને 220 કેબલ-કાર દ્વારા તીર્થભૂમિનો એરિયલ વ્યુ મળશે. 800 કરોડના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટમાં અત્યાધુનિક સેન્સર અને સ્કેનર લાગશે, જે ગંડોલાની પળપળની જાણકારી કંટ્રોલ રૂમને આપશે.
Summarized by AI; it may make mistakes. Check important info

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
સુરતનું જમણ અને કાશીનું મરણ એમ કહેવાતું, પણ હવે એટલો ઉમેરો થશે કે કાશીનું મરણ અને કાશીનું ભ્રમણ. કારણ, કાશી એટલે વારાણસીમાં ગંગા નદીમાં નૌકાયાત્રા. તીર્થનગરીમાં તીર્થ સ્થાનોની યાત્રા કરાવવામાં આવે છે એમ હવે વારાણસી આવતા યાત્રીઓ માટે શ્રાવણ મહિનાથી રોપ-વે પણ શરૂ થઈ જશે.
આ પ્રોજેકટ ટેકનિકલ અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યાધુનિક હશે. રોપ-વેની આ સિસ્ટમ સ્કાડા (સુપરવાઈઝરી કન્ટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન) તરીકે ઓળખાય છે. આ રોપ-વેના ટાવર ઉપર અત્યાધુનિક સેન્સર અને સ્કેનર લગાડવામાં આવશે. એટલેે ગંડોલા (કેબલકાર)ની પળપેળની જાણકારી કન્ટ્રોલ રૂમને મળતી રહેશે. કન્ટ્રોલ રૂમના સ્ક્રીન પર દેખાશે કે કેબલ-કાર કયા ટાવર પાસેથી પસાર થાય છે અને આગલું સ્ટેશન કેટલું દૂર છે. રોપવેની લંબાઈ ૩.૭૫ કિલોમીટર છે અને આ રૂટ પર પાંચ સ્ટેશનો આવેલાં છે. કેંટ સ્ટેશનથી ગોદૌૈલિયા વચ્ચેની આ યોજના પાછળ ૮૦૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. કેબલ-કારની સંખ્યા ૨૨૦ની હશે અને તીર્થભૂમિ વારાણસીના એરિયલ વ્યુનો લાભ મળશે. રોપ-વેનાં પાંચેય સ્ટેશનો પર કાશીની ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી જોવા મળશે. આ રોપ-વેનો આશય પર્યટનને ઉત્તેજન આપવાનો પણ છે. હવે ભવિષ્યમાં એમ કહેવાશે સુરતનું જમણ અને કાશીનું ગગન-ભ્રમણ.
હાથીને સુરક્ષા કવચ
ચલ ચલ મેરે હાથી ઓ મેરે સાથી… વર્ષો પહેલાં 'હાથી મેરે સાથી' ફિલ્મ આવેલી એ ફિલ્મનું આ ગીત હજીય લોકજીભે ચડે છે, પરંતુ આજના સંદર્ભમાં આ ફિલ્મનું ટાઈટલ ફેરવીને કરવું પડે કે, હાથી મરે શાથી? એટલે અકસ્માતનો ભોગ બનીને હાથી કેમ મરે છે? ટ્રેનો કે રસ્તા પરનાં વાહનોની અડફેટે ચડી હાથી મરે નહીં કે ઘાયલ ન થાય એ માટે કોઈ ઉપાય અજમાવવામાં કેમ નથી આવતા? આ સવાલ દરેક પ્રાણીપ્રેમીના મનમાં ઘૂમરાતો હશે.
આ સવાલના જવાબ રૂપે રેલવેએ સંરક્ષણ ખાતા સાથે મળીને હાથીઓને બચાવવા માટે સ્વદેશી સુરક્ષા કવચની શોધ કરી છે. પ્રાયોગિક ધોરણે આ સુરક્ષાકવચ નોર્થ-ઈસ્ટ ફ્રંટિયર (એનએફઆર) રેલવે ઝોનના લુમડિંગ ડિવિઝનમાં કામ લગાડવામાં આવ્યું છે. આ કવચમાં થર્મલ કેમેરા સાથેની ખાસ ડિવાઈસ ટ્રેનના એન્જિનના લોકો-પાયલટને આપવામાં આવે છે. આ ડિવાઈસની મદદથી પાટા ઉપર બેથી આઠ કિલોમીટરના અંતરે હાથી આવી ગયો હશે તો લોકો પાયલટ ટ્રેનની ગતિ ધીમી કરીને, વ્હીસલ વગાડીને અથવા સમયસર બ્રેક મારીને હાથીની જિંદગી બચાવી લેશે.
આ ડિવાઈસનું ઘણું સારૃં પરિણામ જોવા મળ્યું છે. એટલે હવે પછી જ્યાં વધુ હાથી હોય એવાં એલિફન્ટ કોરિડોરમાંથી પસાર થતી ટ્રેનોના લોકો-પાયલટોને આ ડિવાઈસ પૂરી પાડવામાં આવશે.
જૂની કહેવત છે કે હાથી જીવતો લાખનો અને મર્યા પછી સવા લાખનો. પણ પ્રાણીપ્રેમીઓને મન તો જીવતો હાથી સવા લાખનો નહીં સવા કરોડનો છે. એટલે જ નવી સુરક્ષા કવચ ડિવાઈસને આવકાર મળ્યો છે.
જમાઈને સોનું આપવાનું હતું ભેટમાં, એ પહોંચ્યું બિલાડીના પેટમાં
હળવાશથી જમાઈની મશ્કરી કરતા એવું કહેવાય છે કે જ્યાં જાય જમાઈ ત્યાં બધું જાય જમાય… પણ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક પરિવારે અધિક માસમાં જમાઈને નોતર્યા અને સરપ્રાઈઝ આપવા માટે સરસ મજાના લાડુ બનાવી એમાં પાંચ ગ્રામ સોનાની વીંટી સંતાડી દીધી. પણ એવું થયું કે જમાઈ જમવા બેસે એ પહેલાં ઘરની બિલાડી એ લાડુ ચટ કરી ગઈ! આમ, ભેટ પહોંચી બિલાડીના પેટમાં. પરિવારજનોએ નક્કી કર્યું કે ગમેતેમ કરીને વીંટી બિલાડીના પેટમાંથી કઢાવવી પડશે. એટલે બિલાડીને બાંધીને ખૂબ ખવડાવવા માંડયા કે જેથી મળવિસર્જન દરમિયાન વીંટી બહાર નીકળી જાય… પણ વધુ પડતું ખવડાવાને કારણે બિલાડી માંદી પડી. ડોક્ટરોએ સારવાર કરી પણ બચી ન શકી અને મરી ગઈ. બિલાડી મરી ગયા પછી તેના પેટનું ઓપરેશન કરી પાંચ ગ્રામની વિંટી કાઢી જમાઈને ભેટ આપવામાં આવી. બોલો કેવી પંચાત થઈ! આ કિસ્સો સાંભળીને કહેવું પડે કે-
જમાઈની ભેટનું થયું જાદુ
લાડુ ખાઈ ગયું બિ-લાડુ.
'સ્લમ' કિસી સે
કમ નહીં
'સ્લમડોગ મિલિયોનેર' ફિલ્મે જેમ મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટીને દુનિયાભરમાં મશહૂર કરી દીધી એવી રીતે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં શરૂ થયેલી 'સ્લમ-ગોલ્ફ' એટલે ઝૂંપડપટ્ટીમાં રમંતી ગોલ્ફની રમતે સુરેશ મહેબૂબાની નામના યુવકને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી છે. નાનપણમાં સુરેશ પ્રેસિડન્સી ગોલ્ફ કલબ પાસે રહેતો એટલે ગોલ્ફની રમત પ્રત્યે નાનપણથી જ તે આકર્ષાયો હતો. જરા મોટો થયો એટલે તે ગોલ્ફ પ્લેયર રમતા હોય ત્યારે જુદા જુદા પ્રકારના ગોલ્ફ કલબ લઈને ભેગો ફરતો હોય એ કૅડી બની ગયો. અલબત્ત, કૅડીને ગોલ્ફ કોર્સમાં રમવાની મનાઈ હતી. સુરેશ અને તેના હમઉમર દોસ્તોએ શું કર્યું, ખબર છે? ગોલ્ફ કોર્સની બહાર ઝૂંપડપટ્ટી વચ્ચેની ખુલ્લી જગ્યામાં રમવાની શરૂઆત કરી અને નામ આપ્યું 'સ્લમ ગોલ્ફ'. ગોલ્ફનાં મોંઘાં સાધનો ખરીદવાના પૈસા નહોતા એટલે નવાં બંધાતાં મકાનોમાંથી નક્કામા લાકડાં, જૂના પાઈપ અને બીજો ભંગાર નીકળે એમાંથી ગોલ્ફ સ્ટીક બનાવી. ગોલ્ફના દડા તો બહુ મોંઘા પડે એટલે એનો વિકલ્પ શોધી કાઢયો. તેઓ પ્લાસ્ટિક-રબ્બરના બૉલથી રમવા માંડયા. ધીરે ધીરે સ્લમ ગોલ્ફની રમત જામતી. સુરેશ અને તેના સાથીઓનો આ જુગાડવાલો ખેલ જોતજોતામાં આંતરરાષ્ટ્રીય મુવમેન્ટબની ગયો.
આજે સ્લમનાં બાળકો હોંશે હોંશે રમતની તાલીમ લે છે. અનેક ગરીબ દેશોમાં સ્લમ ગોલ્ફની રમત રમાવા લાગી છે. મહેબૂબાનીનો દોસ્ત અનિલ માને તો પ્રોફેશનલ ગોલ્ફર બની ગયો. બન્નેએ મળી દુનિયામાં સ્લમ ગોલ્ફને ખ્યાતિ અપાવી. ૨૦૧૮માં આ ખેલાડી પેરિસ ગયા હતા. ૨૦૨૨માં લક્ઝમબર્ગ રમવા ગયા હતા. હવે સ્લમ ગોલ્ફ પ્લેયર સ્વિટ્ઝર્લેન્ડમાં વર્લ્ડ અર્બન ગોલ્ફ કપમાં રમવા જવાના છે. 'હમ કિસી સે કમ નહીં' પરથી આ સ્લમં ગોલ્ફરોને જોઈને કહી શકાય કે, સ્લમ કિસી સે કમ નહીં.
સાસુને પીઠ પર લાદી વહુએ કરાવી પરિક્રમા
સામાન્ય રીતે સાસુ અને વહુના સંબંધ શાસકપક્ષ અને વિરોધ પક્ષ જેવા હોય છે, પરંતુ અપાવદરૂપ કિસ્સામાં વહુ સારી મ ળે તો સાસુની ઈચ્છા અપાર કષ્ટ સહીને પણ પૂરી કરે. થોડા વખત પહેલાં છત્તીસગઢમાં ૫૦ વર્ષની પુત્રવધૂ પોતાની ૯૦ વર્ષની સાસુને પીઠ ઉપર લાદીને ત્રણ કિલોમીટર દૂર બેન્કમાં પેન્શન લેવા માટે ગઈ હતી. આવી જ એક પરોપકારી પુત્રવધૂએ સાસુમાને સૂંડલા જેવા પ્લાસ્ટિકના ટબમાં બેસાડી ટબને માથે ઊંચકી વૃંદાવનની ૮૪ કોસની પરિક્રમા પૂરી કરાવી હતી. વૃદ્ધાવસ્થા અને શારીરિક તકલીફને કારણે વૃદ્ધ સાસુમા પગે ચાલીને પરિક્રમા કરી નહીં શકે એમ લાગતા વહુએ ટબમાં સાસુને બેસાડી પરિક્રમા કરાવી. બીજા યાત્રાળુઓ વહુની સાસુ ભક્તિ જોઈને નમી પડયા. યાત્રા કરીને સાસુની આંખમાં પણ હર્ષના આંસુ આવી ગયા.
પંચ-વાણી
સુરતીઓ 'ળ'નો ઉચ્ચર 'ર' કરે છે. એટલે એક હોસ્પિટલના દરવાજે કાળા બોર્ડ પર ચોકથી સૂચના લખેલીઃ
'દરદીઓને મરવાનો સમય સાંજે ૪થી ૬.'









