ઉનાવાના તલાટીને કોરોના પોઝિટિવ આવતા મીટીંગમાં હાજર અન્યને ફફડાટ
- વિકાસકામોના માર્ગદર્શન માટે ગુરૂવારે તાલુકા પંચાયતના હોલમાં તલાટીઓની બેઠક મળી હતી
ગાંધીનગર, તા. 28 જુલાઇ 2020, મંગળવાર
કોરોનાકાળમાં એક બીજાને મળવામાં પણ ડર લાગી રહ્યો છે ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતના હોલમાં ગત ગુરુવારે મળેલી તલાટીઓની બેઠક બાદ આજે ઉનાવાના તલાટીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને પગલે આ બેઠકમાં હાજર અન્ય તલાટીઓ અને અધિકારીઓમાં પણ ફફડાય ફેલાયો છે ત્યારે આવી કપરી સ્થિતિમાં વધુ લોકોને ભેગા નહીં કરવાની ગાઇડલાઇન હોવા છતા તેનું પાલન નહીં કરીને વાયરસ ફેલાવાની ગુનાહિત બેદરકારી કરવામાં આવી રહી છે તે જિલ્લામાં બંધ થવી જોઇએ તેવી પણ માંગણી ઉઠવા પામી છે.
કોરોનાનો જીવલેણ અને અતિચેપી વાયરસ રોકેટગતીએ ફેલાઇ રહ્યો છે યુવાનો પણ કોરોનાથી મોતને ભેટી રહ્યા છે ત્યારે અનલોક હોવા છતા પણ સરકારે ઘણા નિયમો લાદ્યા છે જેથી આ કોરોનાનો વાયરલ ફેલાતો અટકે જેના ભાગરૂપે ઓફિસ કે અન્ય જગ્યાએ વધુ લોકો ભેગા નહીં કરવા માટેની કડક ગાઇડલાઇન છે તેમ છતા ગાંધીનગર શહેરમાં જ તેનું પાલન થતું નથી.ગાંધીનગર તાલુકા પંચાચતમાં જમીન મહેસુલી વસુલાત તેમજ પંચાયતી વિકાસકામોના માર્ગદર્શન માટે તાજેતરમાં એટલે કે, ગત ગુરૂવારે તલાટીઓની બેઠક બોલાવવામાં આવી હતી. પંચાયત હોલમાં ૪૦થી પણ વધુ તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તે પૈકી ઉનાવાના તલાટીનો કોરોના રીપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે જેને પગલે હાજર તલાટીઓ અને અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. તલાટીઓ એક બીજાને ફોન કરીને ખબર પુછી રહ્યા છે તો બીજીબાજુ મીટીંગો બોલાવવાની ગુનાહિત બેદરકારી અધિકારીઓ દ્વારા આચરવામાં આવી રહી છે તેની સામે પણ કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગને તલાટીની આ બેઠક અંગે માહિતગાર કરવામાં આવ્યા છે કે નહીં તે અંગે સવાલો ઉઠયા છે તો બીજીબાજુ બેઠકમાં હાજર તલાટીઓ, પંચાયતનો સ્ટાફ અને અધિકારીઓને ક્વોરેન્ટાઇન કરવા કે નહીં તે બાબતે મુંઝવણ ઉભી થઇ છે. ઉલ્લેખનીય છે કે, તાલુકા પંચાયતના હોલમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે તલાટી બેઠક બોલાવવામાં આવી હતી તેમ અધિકારીઓ દ્વારા બચાવ કરવામાં આવે છે પરંતુ આ હોલ એટલો સાંકળો છે કે અહીં સામાજિક અંતર જળવાય તેમ નથી.