રાજ્યમાં બનતાં સાઈબર ક્રાઈમના ગુના અટકાવવા માટે પોલીસ સજ્જ : ગૃહમંત્રી
- ગાંધીનગર રેન્જના સાઈબર પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ
- ડીઝીટલ ડેટાની ચોરી, સોશ્યલ મીડીયાથી માનસિક ત્રાસ, પોર્નોગ્રાફી તેમજ ઓનલાઈન ફ્રોડ મામલે નાગરિકોને મદદ મળશે
ગાંધીનગર, તા. 23 જુલાઇ 2020, ગુરૂવાર
ગાંધીનગર રેન્જ આઈજીની કચેરી સે-ર૭ ખાતે તૈયાર કરવામાં આવેલા ટેકનોલોજીયુક્ત સાઈબર પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ આજે રાજયના ગૃહમંત્રીએ કર્યું હતું. તેમણે કહયું હતું કે હાલના ડીઝીટલ યુગમાં ટેકનોલોજીના માધ્યમથી સાઈબર ક્રાઈમના ગુના વધી રહયા છે ત્યારે આવા ગુનાઓના પ્રીલેન્શન અને ડીટેકશન માટે ગુજરાત પોલીસ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. સાઈબર સાશ્વત અને વિશ્વાસ પ્રોજેકટ હેઠળ રેન્જના ચારેય જિલ્લામાં આવા ગુનાઓ અટકાવવા મદદ મળશે.
રાજયમાં દિનપ્રતિદીન સાઈબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો નોંધાઈ રહયો છે ત્યારે આવા ગુનાઓ ઉકેલવા માટે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોની તાતી જરૂરીયાત છે ત્યારે ગાંધીનગરના સે-ર૭માં આવેલી રેન્જ આઈજી કચેરી ખાતે ગાંધીનગર રેન્જના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું આજે રાજયના ગૃહમંત્રી પ્રદિપ જાડેજાએ ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમણે કહયું હતું કે ગુજરાત જયારે વિકાસ કરી રહયું છે ત્યારે તેની આગેકુચમાં શાંતિ અને સલામતી મુખ્ય પરિબળ છે. સાઈબર બુલીંગની મદદથી થતાં ક્રાઈમને અટકાવવા અને ટેકનોક્રેટ ગુનેગારો સુધી પહોંચવા માટે સાઈબર એક્સપર્ટ પોલીસની ટીમને સજજ કરવામાં આવી છે. આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતાં સાઈબર ક્રાઈમ દેશમાં ટેકનોલોજી અને ઈન્ટરનેટના વધતાં ઉપયોગ સાથે પડકાર બની રહયો છે. જેથી આ સાઈબર પોલીસ સ્ટેશનમાં સ્ટોકીંગ જેવા બનાવોમાં પ્રીવેન્શન અને તેના ઝડપી ડીટેકશન માટે સાઈબર બુલીંગ યુનિટ પણ બનાવવામાં આવ્યું છે. રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ રેન્જમાં સમાવિષ્ટ ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાઈબર ક્રાઈમને લગતાં પ્રશ્નો લોકોને મુંઝવતાં હોય તો આ યુનિટનો સંપર્ક કરવા લોકોને જણાવ્યું છે. ઓનલાઈન ફ્રોડ તેમજ સોશ્યલ મીડીયામાં માનસિક ત્રાસ સહિતના ગુનાઓની તપાસ અહીં કરવામાં આવશે.