રાજ્યમાં અટકી પડેલી ભરતી પુનઃ શરૂ કરવા મહેસાણામાં માંગ
- કેટલીક ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે પરંતુ નિમણૂંકો આપતા નથીઃ યુવાનોમાં રોષ
મહેસાણા,તા.29 જૂન 2020, સોમવાર
રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યા પર ભરતી માટે જાહેરાત તો પાડવામાં આવે છે અને ભરતી પ્રક્રિયા શરૃ પણ થાય છે પરંતુ યેનકેન પ્રકારે ભરતીપૂર્ણ થતી નથી. કેટલાક ભરતીમાં તો પ્રક્રિયા પૂર્ણ થઈ છે માત્ર નિમણૂંકો આપવાની બાકી છે ત્યારે તેમછતાં નિમણૂંક પણ અધ્ધરતાલ રહી છે. આ બાબતોને લઈ બેરોજગાર યુવાનોમાં ભારે રોષ ઉભો થયો છે. મહેસાણાના બેરોજગાર યુવાનો દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે.
મહેસાણા ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા મહેસાણા અધિક કલેક્ટરને કરાયેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ રાજ્યમાં ઘણા સમયથી લગભગ ૩ થી ૪ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ સરકારી સ્પર્ધાત્મક પરિક્ષા કોઈને કોઈ કારણોસર અટકાવી દેવામાં આવે છે. અમુક તો એવી ભરતી છે કે જેમાં ઘણા મહિનાઓથી તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. ફક્ત નિમણૂંક આપવાની જ બાકી છે તો પણ સરકાર દ્વારા કોઈ જ ધ્યાન દોરવામાં આવતું નથી.
અમુક ભરતી એવી છે જેમાં સરકારી પરિક્ષાનું નોટીફિકેશન બહુ લાંબા સમયથી આવી ચુકેલ છે અને ભરતી જાહેર થઈ ગઈ છે. અને સરકારી તંત્રની ઢીલી નીતિને કારણે પરિક્ષા લેવાની બાકી છે અને પરિક્ષાની કોઈ નિશ્ચિત તારીખ પણ અપાતી નથી. રાજ્યમાં ૪૦ હજાર જેટલી જગ્યાઓ પર અલગ અલગ તબક્કે અટકેલી પડેલી છે. જેથી રાજ્યના બેરોજગાર યુવાનો ભરતી ન થવાથી ભારે ત્રસ્ત બન્યા છે. આ મામલે મહેસાણામાં શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા મહેસાણા અધિક કલેક્ટરને લેખીતમાં માંગ કરી હતી.
બેરોજગાર યુવાનોની માંગણી
(૧) જે ભરતીમાં નિમણૂંકો આપવાની બાકી છે તે આપી દેવામાં આવે.
(૨) જે ભરતીમાં પ્રાથમિક મુખ્ય પરિક્ષા કે કોમ્પ્યુટર ટેસ્ટ કે ઈન્ટરવ્યું થઈ ગયા છે તેના પરિણામ જાહેર કરવામાં આવે.
(૩) જે ભરતીની જાહેરાત થઈ ગઈ છે પરંતુ તેની પરીક્ષાની તારીખ જાહેર નથી કરવામાં આવી તો તે ભરતીની પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવે.
(૪) સરકાર દ્વારા જે ૧ ઓગસ્ટ ૨૦૧૮ના જીઆઈરનું કારણ આપીને ભરતી અટકાવેલી છે તો આ વિવાદીત જીઆઈરનું બંધારણીય રીતે નિરાકરણ લાવવામાં આવે.
(૫) ઘણા સમયથી ભરતી અટકાવેલ છે ત્યારે કેટલાક ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છી. જેના માટે સરકાર હકારાત્મક પગલાં ભરી આ ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવે.