ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા મહીસાગર જિલ્લામાં એપીએમસીના ત્રણ કેન્દ્રો ફાળવાયા
-લુણાવાડા અને લીંબડીયા કેન્દ્રો પર 20 કિલોના 875 ના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી
લુણાવાડા તા.8 મે 2020 શુક્રવાર
ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલ ટેકાના ભાવે ગુજકો માર્શલ દ્વારા 20 કિલોના 875 રૂપિયાના ભાવે ચણાની ખરીદી કરવા માટે મહીસાગર જિલ્લામાં લુણાવાડા, સંતરામપુર અને લીંબડીયા એપીએમસી એમ ત્રણ કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે.
લુણાવાડા અને લીંબડીયા એપીએમસી કેન્દ્ર પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૃ થતાં ખેડૂતોને ચણાના ભાવ બઝાર કરતા સારા મળતા ઉત્સાહભેર પોતાના ચણા એપીએમસીમાં ટેકાના ભાવે આપી રહ્યા છે અને ખેડૂતો સરકારના આ નિર્ણયથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે
મહીસાગર જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા જિલ્લાના લુણાવાડા, સંતરામપુર અને લીંબડીયા એમ ત્રણ એપીએમસી સેન્ટર પર ગુજકો માર્શલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટે કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. જેમાં લુણાવાડા અને લીંબડીયામાં આવેલ એપીએમસી કેન્દ્ર પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૃ કરવામાં આવી છે જિલ્લામાં 1233 ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ચણા આપવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે .
લોકડાઉન હોવાથી રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને મેસજ અથવા ફોન દ્વારા જાણકારી આપી ચણા લઈને આવવા જણાવામાં આવે છે સરકાર દ્વારા ચણાના ટેકાના ભાવ 20 કિલોના 975 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે એપીએમસી પર ટેકાના ભાવે ચણા આપતા ખુડુતોને બજાર ભાવ કરતા 20 કિલો ચણા પર 175 થી રૂ.200 જેટલો વધુ ફાયદો થઈ રહ્યો છે લોકડાઉન દરમ્યાન ખેડૂત ને કોઇપણ પ્રકાર ની તકલીફ પડયા વગર પોતાના પાક ના સારા ભાવ મળતા ખેડૂત ખુશ છે અને સરકારના નિર્ણયને આવકારે છે.