લુણાવાડાની એક હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં અમદાવાદથી આવેલા 3 સહિત 5 સામે ગુનો દાખલ
-એમ્બ્યુલન્સ જપ્ત કરી તમામને લુણાવાડા બ્રાઇટ સ્કૂલ ખાતે બનાવેલ આઇશોલેશન હોમ ખાતે મોકલી દેવાયા
લુણાવાડા તા.17 એપ્રિલ 2020 શુક્રવાર
લુણાવાડાની એક હોસ્પિટલના સંચાલક દ્વારા હોસ્પિટલની એમ્બુલન્સમાં અમદાવાદથી આવેલા ત્રણ ઇસમોને લુણાવાડા ખાતે હોસ્પિટલમાં લાવીને તેઓને રહેવા જમવાની સગવડ પુરી પાડીને જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા લુણાવાડા પોલીસે પાંચ ઇસમો સામે ગુનો દાખલ કરી આગલી કાર્યવાહી કરી હતી.
ગઈ મોડી રાત્રે એક એમ્બુલન્સમાં ત્રણ ઇસમો આવ્યા હતા અને માઝ હોસ્પિટલમાં ગયા હતા તેવી જાણ થતા તેઓ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી અને જેમાં અમદાવાદની શીફા હોસ્પિટલની એમ્બુલન્સમાં ત્રણ ઇસમોને લઇને આવી હોવાનું જાણવા મળતા તેના ડ્રાઇવર મોહંમદ ઇબ્રાહીમ અબ્દુલ કરીમ ઘાંચીની પુછપરછ કરતા તેને જણાવ્યુ હતુ કે તે આ એમ્બુલન્સમાં ત્રણ ઇસમો (1) રફીક ઇબ્રાહીમ શેખ રહે.ઝલક ફલેટ વેજલપુર અમદાવાદ (2) મુસ્તુફા સલીમ શેખ રહે. સંતરામપુર ગોધરા ભાગોળ જુની અંબીકા લોજ પાસે (૩)ફેઝાન ઇદ્રીશ અબ્દુલ હબ પટેલ રહે. બકરાવાલાની વાડી, મુસ્તુફા મસ્જીદની પાછળ મધવાસ દરવાજા લુણાવાડા આવ્યા હતા અને તેમને માજ હોસ્પિટલના સંચાલક કોશર અહમદ શબ્બીર ગુલાટી એ તેમની રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી હતી. એક તરફ જિલ્લા કલેકટર દ્વારા લોકડાઉન દરમ્યાન કોઇ પણ વ્યકિતએ જિલ્લા કલેકટરની પરવાનગી વગર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં નહી જવાનું જાહેરનામું બહાર પાડયુ છે.
તેમ છતાં આ જાહેરનામાનો ભંગ કરીને કોઇપણ પ્રકારના ડોકટરના રીફર મેમા સહી વગર બીન જરુરી જાહેરમાં નીકળીને પબ્લીક હેલ્થ અને સેફટીને નુકશાન કરી વૈશ્વીક મહામારી કોરોના વાયરસને ફેલાવવાની સંભાવનાની હકીકત જાણવા છતાં કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. આથી પોલીસ તંત્ર દ્વારા (1) મોહંમદ ઇબ્રાહીમ અબ્દુલ કરીમ ઘાંચી રહે. ગોમતીપુર ચાર તળાવ, કબ્રસ્તાન પાસે, અમદાવાદ (2) રફીક ઇબ્રાહીમ શેખ રહે. ઝલક ફલેટ, વેજલપુર અમદાવાદ (૩) મુસ્તુફા સલીમ શેખ રહે.જૂની અંબીકા લોજ પાસે સંતરામપુર (૪) ફેજાન ઇદ્રીશ અબ્દુલ હબ પટેલ રહે.બકરાવાલાની વાડી, મધવાસદરવાજા, લુણાવાડા (૫) કૌશર અહેમદ શબ્બીર ગુલાટી રહે. લુણાવાડા ની સામે ગુનો દાખલ કરી આગલી કાર્યવાહી કરી હતી. તથા ઇક્કો કાર એમ્બુયુલન્સ ૧,૫૦,૦૦૦ ની જપ્ત કરીને તેઓની આરોગ્ય તપાસણી કરીને લુણાવાડા બ્રાઇટ સ્કુલ ખાતે બનાવેલ આઇશોલેશન હોમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
અમ્બ્યુલન્સનો ખોટી રીતે ઉપયોગ કરીને લોકોના જાહેર આરોગ્ય સાથે ચેડા કરનાર સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ છે વળી આવી રીતે કેટલી વખતે લોકોને ખોટી રીતે લુણાવાડા ખાતે લાવવામાં આવ્યા હશે તેવી અનેક અટકળો મહીસાગર જિલ્લામાં ચાલી રહી છે તો આવી રીતે કેટલા ઇસમો લુણાવાડા ખાતે લાવવામાં આવ્યા હશે તેની પણ પોલીસસુત્રો દ્વારા પુછપરછ કરીને કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તે ઇચ્છનીય છે .