માણસે જીવન 'જીવી જવું' જોઇએ કે જીવન 'જીવી નાખવું' જોઇએ ?
ગુફતેગો - ડો.ચંદ્રકાન્ત મહેતા
- સંસાર તમને એક 'જીવડો' માનવાને બદલે એક 'ઉદાત્ત આત્મધારી' ઈન્સાન માને તો માનજો કે તમારું જીવન સફળ થઇ ગયું
* માણસે જીવન 'જીવી' જવું જોઇએ કે જીવન 'જીવી નાખવું' જોઇએ ?
* પ્રશ્નકર્તા : નૈષધ દેરાશ્રી, ૨૦ નાલંદા સોસાયટી, ટી.બી. હોસ્પિટલ સામે, ગાયત્રી સ્કૂલ પાસે, જામનગર (સૌરાષ્ટ્ર)
જિંદગી જીવી જવાનો ઉત્તમ માર્ગ એ છે કે જીવનની પરિભાષા કે વ્યાખ્યાના ચક્કરમાં પડયા સિવાય જિંદગીને શ્રદ્ધાપૂર્વક જીવવાના આનંદને જીવનનું લક્ષ્ય બનાવો. જીવનની એક અને અંતિમ પરિભાષા હોઇ શકે નહીં. જેટલા માનવીઓ તેટલી અલગ-અલગ વ્યાખ્યાઓ. આ વ્યાખ્યાઓ માણસે પોતાને થએલા કડવા કે મીઠા અનુભવોમાંથી જન્મેલી હોય છે ! માણસ જીવનને સમગ્રતયા જાણવા અને સમજવાને બદલે જીવનના એકાદ ભાગને પોતાની માન્યતાનો આધાર બનાવી જીવન વિષયક ઉક્તિઓ વ્યક્ત કરે છે.
કોઇકને મન જીવન એ કોમેડી (સુખાન્ત) છે તો બીજાને મન જીવન એ ટ્રેજેડી (દુ:ખાન્ત) છે. આપણા જીવન વિષયક ખ્યાલોમાં એક પ્રકારની જડતા છે. જીવન પરિવર્તનશીલ છે અને ક્ષણે-ક્ષણે બદલાતાં જીવનને કોઇ પણ પ્રકારના ચોકઠામાં બેસાડી શકાય નહી.
જીવનની વ્યાખ્યા કેવળ સાંસારિક સુખોને સર્વસ્વ સમજનારને મન 'આજનો લહાવો લીજિયે રે ! કાલ કોણે દીઠી છે.' એટલે માણસ કેવળ 'આજ'ના સુખ સાગરને ગટગટાવી જવામાં જ જીવનની સાર્થકતા માને છે. અર્થપ્રધાન માણસ માટે પૈસો એ જ સર્વસ્વ છે. ધર્મપ્રધાન માણસ માટે નૈતિકતા, ત્યાગ, સમર્પણ, જીવદયા, સત્ય, પ્રેમ, સેવા વગેરે સર્વસ્વ છે. કામાતુર માટે કામની કદમબોસી એ જ સર્વસ્વ છે. અને મોક્ષ ઝંખતા માણસ માટે 'મુક્તિ' એ જ સર્વસ્વ છે. સોક્રેટિસે એટલે જ કહ્યું છે કે જીવન અને મૃત્યુ એ બન્ને પૈકી કોણ બદતર છે, તેનું જ્ઞાાન પરમાત્માને અને માત્ર પરમાત્માને છે.
જીવવાની ઈચ્છા જીવજંતૂ અને ઈન્દ્ર દેવતા બન્નેમાં સમાન છે. એ બન્નેને મૃત્યનો ભય સતાવતો હોય છે પરંતુ પશુમાં જીવન જીવવાની દ્રષ્ટિ હોતી નથી, માણસ પણ એ જ રીતે દ્રષ્ટિવિહીન જીવે, તો પશુ અને માણસ વચ્ચે શો ફેર ? જીવનને કશું લેવાનો નહીં, પણ કશુંક આપી જવાના આદર્શને નજર આગળ રાખીને જીવતો માણસ કહેશે કે-
''જિંદગી ઝિંદાદિલી કા નામ હૈ,
મુર્દાદિલ ક્યા ખાક જિયા કરતે હૈં.''
ઝિંદાદિલીનું નામ જ જીવન. જેઓ 'મુર્દાદિલ' એટલે કે જેમના જીવનમાં કોઇ ઉત્સાહ નથી, ભાવના નથી, બીજા માટે કશું કરવાની તમન્ના નથી, જેઓ માત્ર આત્મકેન્દ્રી છે, ક્ષુદ્ર વાસનાઓના ચક્કરમાં જ અટવાએલા રહે છે તેઓ માત્ર શ્વાસ લે છે, પણ જીવનનો ભાવભીનો ધબકાર માણી શકતા નથી.
'જીવી જાણવું' એટલે કોઇ મહાન અને પવિત્ર ઉદ્દેશને સાર્થક બનાવવા સતત સાવધાનીપૂર્વક જીવવું, આત્મદર્શનપૂર્વક જીવવું અને જીવનને એક કસોટી માનીને હસતા મોંઢે સુખ-દુ:ખ બન્નેમાં પ્રસન્ન રહી, ભગવાનની કસોટીમાં સફળ થવું અને ઉત્તમ કાર્યો અને કર્તવ્ય અદા કરીને જીવનને શાનદાર બનાવવું, જીવનને સાર્થક બનાવ્યાનો આંતરિક પરિતોષ અનુભવો એનું નામ જીવન જીવી જાણ્યું. જીવન એ વિકાસના સિદ્ધાંતને અનુસરે છે. જીવન એ એક જવાબદારી છે, એમ સમજી જીવનાર માણસ માટે સંકુચિતતા નહીં, 'વિસ્તાર' એ જ જીવન છે. જેમ માણસને જીવવાનો અધિકાર મળ્યો છે, તેમ સૃષ્ટિના અન્ય જીવોને પણ જીવનનો અધિકાર મળ્યો છે. જીવનનું વરદાન પામેલા સર્વ પ્રાણીઓ સાથે, સમગ્ર સંસાર સાથે એક રસ બનીને જીવવું, પોતાને નોખા જીવ તરીકે માનવાને બદલે સમગ્ર જીવ સૃષ્ટિ સાથે અભિન્નતા અનુભવવી એ જ સાચી મુક્તિ છે અને એ જ જીવનનો પરમ ઉદ્દેશ છે. એ વાત જૈનેન્દ્રકુમારે માર્મિક શબ્દોમાં સમજાવી છે.
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ચિંતક શ્રીમન્ન નારાયણે જીવનનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે-
''જીવન નહીં વ્યર્થ કા સપના,
બુદ્બુદ્ જૈસા હી ક્ષણ ભંગુર,
અપલા (વીજળી) જૈસા ચંચલ-અસ્થિર,
ઉષા કી બાલી-સા નશ્વર.
જન્મ મરણ હૈ આંખ મિચૌલી,
એક અનોખા ખેલ તમાશા.
મર કર અમર કીર્તિ સે સુરભિત
જગ હો ઐસી અતુલિત આશા''
'ભીંતે ઝુલે છે તલવાર' અને 'ભેટે ઝુલે છે તલવાર' દ્વારા મોટા દીકરા અને નાના દીકરાનો ભેદ સમજાવતાં મેઘાણીજીએ ગાયું છે -
''મોટાનાં મોત, ચાર ડાઘુએ જાણીઆ,
નાનાની ખાંભી પૂજાય''
મોટો દીકરો શૌર્યહીન, પરાક્રમહીન અને કાયર હતો. એટલે એની તલવારનો વીરત્વ કાજે તેણે ઉપયોગ ન કર્યો, પણ નાનો દીકરો પરાક્રમી હતો, એણે જીવનને દેશ કાજે સમર્પિત કરી શહાદત વૉરી લીધી એટલે મૃત્યુ બાદ એની ખાંભી પૂજાઇ જ્યારે મોટા દીકરાને કેવળ શબવાહિની ઉપાડનાર ચાર ડાઘુઓએ જ જાણ્યું. 'જીવી ખાનાર' અને 'જીવી જાણનાર' વચ્ચે આ જ મોટો ભેદ છે.
જીવન એ ભોગ નથી, પણ પ્રસન્ન ચિતે માણવાનો સુયોગ છે, માટે જે સૃષ્ટિ પર આપણને જીવવાનો મોકો મળ્યો છે એના પ્રત્યેનું ઋણ અદા કરવું એ જ આપણા જીવનનો ઉદ્દેશ હોવો જોઇએ. ચિંતક કાર્લાઇલને પૂછો તો એ કહેશે : ''અહો ! ઈશ્વરની સૃષ્ટિનો એકાદ ખૂણો વિશેષ ફળદ્રુપ, સુંદર અને ઈશ્વરને વધુ પ્રિય બનાવવો, કોઇ મનુષ્યને વિશેષ બુધ્ધિમાન, વિશેષ હિંમતવાન, વિશેષ સુખી અને અંદરથી અધિક વૈભવશાળી બનાવવો, તેનું થોડુંક પણ દુ:ખ ઓછું કરવું, એ મહાન કાર્ય છે અને એના જેવી બીજી કોઇ મહત્તા
નથી !''
આ છે 'જીવન જીવી જાણનાર'ની જીવન વિશેની વ્યાખ્યા !
જ્યારે જીવી ખાનાર વ્યક્તિ કાં તો આત્મકેન્દ્રી બની પોતાને માટે અને માત્ર પોતાના માટે જીવશે, એને બીજાનાં દુ:ખો સાથે કશી લેવા-દેવા નહીં હોય, 'ખાઓ-પીઓ ને મોજ કરો' એવો પલાયનવાદી દ્રષ્ટિકોણ ધરાવતો હશે. અથવા તો જીવનને દુ:ખનો અવસર માની જિંદગીમાં આવનાર આફતો અને અભિશાપોથી ત્રસ્ત બની જીવન પ્રત્યે ફરિયાદો કરતો હશે કે દુ:ખના રોદણાં રડતો હશે. આવો નિરાશવાદી માણસ જીવનનો આનંદ માણી શકશે નહીં. એ જીવતરને એક સજા માની નિસાસા સાથે જીવનને પૂરું કરશે. સંસારમાં મોટા ભાગના માણસો 'જીવી ખાતા હોય છે' અને જીવનને ઉન્નત અને ધ્યેયલક્ષી બનાવવા પ્રત્યે પ્રમાદી હશે. જેવી રીતે શિલ્પી મૂર્તિને સુંદર રીતે ઘડવા માટે કોતરકામ કરી નકામા ભાગોને અલગ કરી નાખે છે, તેમ જીવન
જીવી જાણવા માટે ક્ષુદ્ર વાસનાઓ, પ્રલોભનો, અમાનવીયતા અને સ્વાર્થની અંધભક્તિથી અલિપ્ત રહી પ્રત્યેક પળે જીવનને 'ડાઘ' રહિત બનાવવું એ જીવન જીવવાની સાચી કલા છે.
ઈમર્સને કહ્યું છે તેમ આપણે જીવન જીવવાની તૈયારીમાં ખાસ્સો સમય વેડફીએ છે, જીવન જીવવામાં નહીં. સંસાર તમને એક 'જીવડો' માનવાને બદલે 'એક ઉદાત્ત
આત્માધારી' ઈન્સાન માને તો માનજો કે તમારું જીવન સફળ થઇ ગયું.. 'લટકતા' અને 'ભટકતા' રહેવું એ તો કરોળિયાની જાળ જેવું જીવન છે, એક યશસ્વી જીવન એ જ માણસની સિદ્ધિ છે. જીવન જીવી જાણવું એટલે જીવનને તપસ્યાની તક બનેાવવું, જીવન જીવી ખાવું એટલે મનુષ્ય હોવા છતાં પશુતુલ્ય જિંદગી ગુજારવી. ઈકબાલ કહે છે -
''જિંદગી ઈન્સાં કી
માનિન્દે મુર્ગે ખુશનુમા
શાખ પર બૈઠા કોઈદમ
ચહચહાયા ઊડ ગયા.''