Magazines

મૂંઝવણ .

By GS Team
4 Aug 20253 mins read
મૂંઝવણ                                                               .

- મને સીઝેરિયનથી પુત્ર પ્રાપ્તિ થઈ હતી. હવે જ્યારે પણ પતિ સાથે શારીરિક સંબંધ બાંધું છું ત્યારે મને મારા જનનાંગમાં ખૂબ પીડા થાય છે.

* હું ૨૮ વર્ષની પરિણીત મહિલા છું. લગભગ ૬ વર્ષ પહેલાં મને સીઝેરિયનથી પુત્ર પ્રાપ્તિ થઈ હતી. હવે જ્યારે પણ પતિ સાથે શારીરિક સંબંધ બાંધું છું ત્યારે મને મારા જનનાંગમાં ખૂબ પીડા થાય છે જે શારીરિક સંબંધ બાંધ્યાના લાંબા સમય સુધી પરેશાન કરે છે. આ સમસ્યાનું કારણ શું હોઈ શકે છે? મારે આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ?

એક મહિલા (નડિયાદ)

* તમારી જેમ ઘણી મહિલાઓ મા બન્યા પછી પીડાદાયક સહવાસથી પરેશાન હોય છે. એ મહિલાઓ જેમના સંતાન કુદરતી રૂપે યોનિમાર્ગથી જન્મતા હોય છે અને જેમનામાં યોનિનો માર્ગ પહોળો કરવા માટે ડોક્ટર પ્રસવના સમયે એપીસિઓરોમીનો ચીરો લગાવે છે, તેમાંની ૧૭ થી ૪૫ ટકા મહિલાઓ મા બન્યા પછી આ પીડામાંથી પસાર થતી હોય છે, જ્યારે સીઝેરિયર દ્વારા મા બનનાર ૨ થી ૧૯ ટકા મહિલાઓ આ પરેશાની જણાવતી હોય છે.

કહેવાનો અર્થ એ છે કે સીઝેરિયન પછી પીડાદાયક સહવાસની પરેશાની ઓછી જોવા મળતી હોય છે, પરંતુ થઈ તો શકે છે. તેની પાછળના ઠોસ કારણ કયા છે. તેની પર માત્ર અટકળો લગાવી શકાય છે. માનવામાં આવે છે કે કેટલીક મહિલાઓમાં સીઝેરિયનની પ્રક્રિયામાંથી પસાર થવાની માનસિક પીડા આગળ જતા તેમના મનમાં એટલી નકારાત્મક અસર કરતી હોય છે કે તેમને સહવાસથી ડર લાગવા લાગે છે. તેઓ વિચારવા લાગે છે ક્યાંક ફરીથી ગર્ભવતી થવાથી ફરીથી સીઝેરિયનમાંથી પસાર થવું પડશે અને આ માનસિક તાણ તેમના મનમાં સેક્સ પ્રત્યે નકારાત્મક વલણ પેદા કરી દેતો હોય છે.

જોકે બીજા કેટલાક મનોવૈજ્ઞાાનિક કારણો પણ પરેશાન કરી શકતા હોય છે. તાજેતરમાં મા બનેલી મહિલાને જો રાત્રિના સમયે પૂરતી ઊંઘ ન મળે, બરાબર આરામ મળી ન શકે, યોગ્ય પોષણ ન મળે, આનંદપ્રમોદનો સમય અને તક ન મળે તથા તેને પતિ સાથે સહવાસની ઈચ્છા ન થતી હોય તો પ્રકારની મનોસ્થિતિ પેદા થવી સ્વાભાવિક છે. સીઝેરિયન પછી જો ટાંકામાં પરૂ થઈ જાય ત્યારે સમય જતા ટાંકા ભરાઈ જવા છતાં પણ બાહ્ય ટિશ્યૂમાં આવેલા દુષ્પરિવર્તનમાં મહિલા પીડા અનુભવી શકે છે.

કેટલીક મહિલાઓમાં સમસ્યા હોર્મોનલ પણ હોઈ શકે છે. એસ્ટ્રોજન હોર્મોનની ઊણપ થવાથી યોનિની કુદરતી સ્નિગ્ધતા ઓછી થઈ જાય છે, પરિણામે સહવાસ પીડાદાયક બની જાય છે.

કેટલીક શારીરિક સમસ્યા જેમ કે યોનિદ્વારમાં આવેલો સોજો, મૂત્રનળીમાં આવેલો સોજો, તેના પર ઉપસેલી માંસની ગાંઠ, યોગીદ્વાર સાથે જોડાયેલ બાર્થોલિન ગ્લેન્ડમાં આવી ગયેલો સોજો અથવા ગુદાદ્વારમાં ફિગર થઈ જવા પર પણ સહવાસ ક્રીડાના સમયે પીડા થવી સ્વાભાવિક છે. આ રીતે ગર્ભાશયગ્રીવાનો સોજો એન્ડોમિટ્રિઓસિસ જેવા રોગ પણ પરેશાની આપી શકે છે.

બીજી સમસ્યા એ પણ છે કે એક વાર પીડા શરૂ થવા પર આગળ જતા મનમાં શારીરિક મિલનને લઈને સંશય બને છે. માત્ર સ્પર્શથી શ્રોણિ પ્રદેશની પેશીઓ સંકુચિત થઈ જાય છે અને સહવાસ મુશ્કેલ બની જાય છે. આ સમસ્યા એક વાર શરૂ થઈ ગયા પછી આગળ જતા એક ચક્રવ્યૂહ બની જાય છે. પછી તો જ્યારેજ્યારે પતિપત્ની શારીરિક મિલન કરવા ઈચ્છે ત્યારે પત્ની પીડાથી ભરાઈ જાય છે.

આ સ્થિતિમાં ઉચિત એ જ રહેશે કે સૌપ્રથમ તમે કોઈ સારા સ્ત્રીરોગ વિશેષજ્ઞાને મળીને પોતાની આંતરિક તપાસ કરાવો. શક્ય છે કે આમ કરવાથી તમારી મૂળ સમસ્યાનું કારણ સ્પષ્ટ થઈ જાય અને તમે સમસ્યાની યોગ્ય સારવાર કરાવીને તેનાથી મુક્તિ મેળવી શકો. જો અંદર કોઈ ખરાબી જોવા ન મળે તો વાજબી એ રહેશે કે તમે અને તમારા પતિ બંને કોઈ સારા મેરેજ કાઉન્સેલરની સલાહ લો. જો પરસ્પર પ્રેમ જળવાઈ રહે તો બધી પરેશાની વહેલીમોડી દૂર થઈ જતી હોય છે. સહવાસ પહેલાં પ્રણય ક્રીડામાં થોડો સમય પસાર કરવાથી પણ લાભ થઈ શકે છે. આમ કરવાથી યોનિની કુદરતી સ્નિગ્ધતા વધી જાય છે, જેથી સહવાસ સરળ બની જાય છે. 

- અનિતા

મૂંઝવણ . | Gujarat Samachar