MSUના 17885 વિદ્યાથીઓમાંથી 1116 વિદ્યાર્થીઓ થેલેસેમિયા પોઝિટિવ
વડોદરા,તા.10.ફેબ્રુઆરી,સોમવાર,2020
એમ.એસ.યુનિવર્સિટીના ૧૭૮૮૫ વિદ્યાર્થીઓમાંથી ૧૧૧૬ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
યુનિવર્સિટી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પહેલા વર્ષના વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે.યુનિવર્સિટીના હેલ્થ સેન્ટર દ્વારા રેડ ક્રોસ સોસાયટીની મદદથી પહેલા વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનો આ ટેસ્ટ કરવામાં આવે છે.
આ વખતે આ ટેસ્ટમાં ૧૧૧૬ વિદ્યાર્થીઓને થેલેસેમિયા માઈનોર હોવાનુ બહાર આવ્યુ છે.આ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે માર્ગદર્શન આપવા માટે આવતીકાલે, મંગળવારે બપોરે ૨-૩૦ વાગ્યે સોશ્યલ વર્ક ફેકલ્ટીના સેમિનાર હોલમાં એક કાઉન્સેલિંંગ સેશનનુ આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં થેલેસેમિયા પોઝિટિવ વિદ્યાર્થઓને માર્ગદર્શન આપવામાં આવશે.યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરના ડોક્ટર સોનલ મિશ્રાના કહેવા પ્રમાણે થેલેસેમિયાની બીમારી જેનેટિક અને જન્મથી જ હોય છે.થેલેસેમિયા માઈનોરથી કોઈ ખાસ જોખમ હોતુ નથી પણ જેને થેલેસેમિયા માઈનોર હોય તે યુવક જો થેલેસેમિયા માઈનોર યુવતી સાથે લગ્ન કરે તો તેમનુ બાળક થેલેસેમિયા મેજરની ખામી સાથે જન્મે તેવી શક્યતાઓ વધારે હોય છે.થેલેસેમિયા મેજરમાં દર મહિને બાળકને લોહી ચઢાવવુ પડતુ હોય છે.બાળક માટે આ બીમારી બહુ તકલીફજનક પૂરવાર થતી હોય છે.એટલે સામાન્ય રીતે થેલેસેમિયા માઈનોર હોય તેવા વ્યક્તિઓને લગ્ન કરતા પહેલા સામેના પાત્રને પણ થેલેસેમિયા માઈનોર છે કે નહી તે જાણીને જ લગ્ન કરવાની સલાહ આપવામાં આવતી હોય છે.આવતીકાલના કાઉન્સેલિંગ સેશનમાં વિદ્યાર્થીઓને આ પ્રકારની જાણકારી પૂરી પાડવામાં આવશે.